શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 28 સપ્ટેમ્બર 2022 (11:36 IST)

પીએમ મોદી ગુજરાતના પ્રવાસે, વંદે ભારત- મેટ્રો રેલ પ્રોજેક્ટ આપશે લીલીઝંડી

vande matram train
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. 30મી સપ્ટેમ્બરે, સવારે 10:30 વાગ્યે, પ્રધાનમંત્રી ગાંધીનગર સ્ટેશન પર ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે અને ત્યાંથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી ટ્રેનમાં મુસાફરી કરશે. સવારે લગભગ 11:30 વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને લીલી ઝંડી આપશે અને કાલુપુર સ્ટેશનથી દૂરદર્શન કેન્દ્ર મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે. બપોરે લગભગ 12 વાગ્યે પ્રધાનમંત્રી અમદાવાદમાં અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતે જાહેર સમારંભમાં અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1નું ઉદ્ઘાટન કરશે.
 
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રી 36મી રાષ્ટ્રીય રમતોત્સવની ઘોષણા કરશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રમતોમાં ભાગ લઈ રહેલા દેશભરના રમતવીરોને પણ સંબોધન કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ડેસરમાં વિશ્વ કક્ષાની “સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી”નું ઉદ્ઘાટન પણ કરશે. આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ દેશના રમત-ગમત શિક્ષણના લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવશે તેવી અપેક્ષા છે.
 
ગુજરાત રાજ્યમાં પ્રથમવાર રાષ્ટ્રીય રમતોત્સવ યોજાઈ રહ્યો છે. તેનું આયોજન 29મી સપ્ટેમ્બરથી 12મી ઓક્ટોબર, 2022 દરમિયાન કરવામાં આવશે. દેશભરમાંથી લગભગ 15,000 ખેલાડીઓ, કોચ અને અધિકારીઓ 36 રમતની શાખાઓમાં ભાગ લેશે, જે તેને અત્યાર સુધીની સૌથી મોટી રાષ્ટ્રીય રમતો બનાવશે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર એમ છ શહેરોમાં આ રમતોત્સવનું આયોજન કરવામાં આવશે. તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ગુજરાતે આંતરરાષ્ટ્રીય ધોરણોનું મજબૂત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની યાત્રા શરૂ કરી, જેણે રાજ્યને ખૂબ જ ટૂંકા ગાળામાં રમતો માટે તૈયાર કરવામાં મદદ કરી.
 
અમદાવાદમાં એક જાહેર સમારંભમાં પ્રધાનમંત્રી અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1નું ઉદ્ઘાટન કરશે. આમાં એપેરલ પાર્કથી થલતેજ સુધીનો લગભગ 32 કિમીનો પૂર્વ-પશ્ચિમ કોરિડોર અને મોટેરાથી ગ્યાસપુર વચ્ચેનો ઉત્તર-દક્ષિણ કોરિડોરનો સમાવેશ થાય છે. પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં થલતેજ-વસ્ત્રાલ રૂટમાં 17 સ્ટેશન છે. આ કોરિડોરમાં ચાર સ્ટેશનો સાથે 6.6 કિમીનો ભૂગર્ભ વિભાગ પણ છે. ગ્યાસપુરથી મોટેરા સ્ટેડિયમને જોડતા 19 કિમીના ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં 15 સ્ટેશન છે. સમગ્ર તબક્કો 1 પ્રોજેક્ટ 12,900 કરોડ રૂ.થી વધુના ખર્ચે બાંધવામાં આવ્યો છે. 
 
અમદાવાદ મેટ્રો એ એક વિશાળ અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે જેમાં ભૂગર્ભ ટનલ, વાયાડક્ટ અને પુલ, એલિવેટેડ અને અંડરગ્રાઉન્ડ સ્ટેશન બિલ્ડિંગ્સ, બેલાસ્ટલેસ રેલ ટ્રેક અને ડ્રાઈવર વિનાની ટ્રેન ઓપરેશન કમ્પ્લાયન્ટ રોલિંગ સ્ટોક વગેરેનો સમાવેશ થાય છે. મેટ્રો ટ્રેન સેટ ઊર્જા કાર્યક્ષમ પ્રોપલ્શન સિસ્ટમથી સજ્જ છે જે આ પ્રોજેક્ટને સક્ષમ કરે છે. લગભગ 30-35% ઊર્જા વપરાશ બચાવે છે. ટ્રેનમાં અદ્યતન સસ્પેન્શન સિસ્ટમ છે જે મુસાફરોને ખૂબ જ સરળ સવારીનો અનુભવ પ્રદાન કરે છે. 
 
અમદાવાદ ફેઝ-1 મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન શહેરના લોકોને વર્લ્ડ ક્લાસ મલ્ટિ મોડલ કનેક્ટિવિટી પ્રદાન કરશે. ભારતીય રેલવે અને બસ સિસ્ટમ (BRTS, GSRTC અને સિટી બસ સેવા) સાથે મલ્ટી મોડલ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી રહી છે. આમાં રાણીપ, વાડજ, AEC સ્ટેશન વગેરે પર BRTS અને ગાંધીધામ, કાલુપુર અને સાબરમતી સ્ટેશન પર ભારતીય રેલવે સાથે કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે. કાલુપુર ખાતે, મેટ્રો લાઈન મુંબઈ અને અમદાવાદને જોડતી હાઈ સ્પીડ રેલ સિસ્ટમ સાથે જોડવામાં આવશે.
 
પ્રધાનમંત્રી ગાંધીનગર અને મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસના નવા અને અપગ્રેડેડ વર્ઝનને પણ લીલી ઝંડી બતાવશે. વંદે ભારત એક્સપ્રેસ અસંખ્ય શ્રેષ્ઠ અને એરક્રાફ્ટ જેવી મુસાફરીનો અનુભવ આપે છે. તે અદ્યતન અત્યાધુનિક સલામતી સુવિધાઓથી સજ્જ છે જેમાં સ્વદેશી રીતે વિકસિત ટ્રેન અથડામણ ટાળવાની સિસ્ટમ - કવચનો સમાવેશ થાય છે. તમામ વર્ગોમાં આરામની બેઠકો છે જ્યારે એક્ઝિક્યુટિવ કોચમાં 180 ડિગ્રી ફરતી બેઠકોની વધારાની વિશેષતા છે. દરેક કોચ પેસેન્જર માહિતી અને ઇન્ફોટેનમેન્ટ પ્રદાન કરતી 32” સ્ક્રીનોથી સજ્જ છે.