1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

ચામડી પરના સફેદ ડાધ કુષ્ઠ રોગ નથી

અજ્ઞાનતા અથવા ગેરસમજને કારણે શ્વેત કોઢ ધરાવતા વ્યક્તિઓ લઘતુગ્રંથીથી પિડાતા હોય છે. પરંતુ, હકીકત એ છે કે, ચામડી પરના સફેદ ડાઘથી વ્યક્તિની કાર્યક્ષમતા અથવા તંદુરસ્તીમાં કોઈ પણ પ્રકારની માઠી અસર પહોંચતી નથી. ચામડી પરના સફેદ ડાઘને કુષ્ઠ રોગ સાથે સ્નાન સુતકનો સંબંધ નથી. 

સયાજી હોસ્પિટલના સ્કીન અને વીડી વિભાગના હેડ પ્રોફેસર ડો. યોગેશ મારફતિયાએ માહિતી આપી હતી કે, કોઈપણ પ્રકારની ઈજા અથવા દાઝ્યા વિના શરીરની ચામડી ઉપર પડતા સફેદ ડાઘને વીટીલીગો કહેવાય છે. આ રોગમાં માત્ર ચામડીના રંગમાં જ બદલાવ આવતો હોય છે. વીટીલીગોને કારણે વ્યક્તિની તંદુરસ્તી અથવા કાર્યક્ષમતા પર કોઈ માઠી અસર પહોંચતી નથી. આ રોગને લેપ્રસી એટલે કે, રક્તપિત્ત સાથે કોઈ સંબંધ નથી. ચામડીના અમુકભાગમાં મેલેનીન (રંગકણો)ની ક્ષતિ સર્જાતા સફેદ ડાઘ થતા હોય છે. હલ્કી ગુણવત્તાના રબ્બર, પ્લાસ્ટિકનો ચામડી સાથેનો સંપર્ક, ચાંદલામાં વપરાતા ગુંદર, ઘરેણા અને કાંડા ઘડિયાળના બેલ્ટને કારણે પણ ચામડી પર સફેદ ડાઘ પડી શકે છે. શ્વેત કોઢ માટે નહીંવત્ પ્રમાણમાં વારસાગત લક્ષણો કારણભૂત હોય છે. કોઈપણ પ્રકારના વિરૃધ્ધ આહારને કારણે શ્વેત કોઢ થતો અથવા વધતો નથી. કેટલાક દર્દીઓમાં આવો રોગ આપમેળે મટી જતો હોય છે. શ્વેત કોઢનો ઈલાજ શક્ય છે. આયૂર્વેદમાં બાવચી નામની વનસ્પતિનો ઉપયોગ શ્વેત કોઢની સારવાર માટે થાય છે. બાવચીમાં સોરાલીન નામનુ તત્વ હોય છે. સોરાલીનના ઉપયોગ અને સૂર્યના કુદરતિ પ્રકાશ અથવા પારજાંબલી કિરણો ધરાવતી ખાસ પ્રકારની લાઈટોના ઉપયોગથી પણ શ્વેત કોઢની સારવાર શક્ય છે. ખાસ પ્રકારના કિસ્સાઓમાં શ્વેત કોઢને દૂર કરવા માટે પ્લાસ્ટિક સર્જરીનો પણ ઉપયોગ થાય છે. આ રોગ સંપૂર્ણ પણે બિનચેપી છે. પરંતુ, અજ્ઞાનતા અને ગેરસમજને કારણે શ્વેત કોઢ ધરાવતા વ્યક્તિઓ લઘુતાગ્રંથીથી પિડાતા હોય છે. વીટીલીગો વાળા વ્યક્તિએ માનસિક તાણ, શારીરીક ઈજા, નુકસાન કારક કેમિકલના સંસર્ગથી દૂર રહીને તેને આગળ વધતો અટકાવવો જોઈએ. યોગ્ય સારવાર અને તકેદારીથી શ્વેત કોઢ દૂર કરી શકાય છે.