તાલીબાન પાક પર ભારે: ઝરદારી
લંડન. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ઉપાધ્યક્ષ આસિફ અલી ઝરદારીએ કહ્યું છે કે, દેશના પશ્વિમી સીમાંતના કલીબાઇ વિસ્તારોમાં તાલીબાનીઓ પાક સેના ઉપર ભારે પડી રહ્યા છે. જેને પગલે આ આંતકવાદી સંગઠન ઉપર તાત્કાલિકરીતે પ્રતિબંધ લગાવી દેવો જોઇએ.ઝરદારીએ બીબીસી સાથેના એક ઇન્ટરવ્યુંમાં સાફ શબ્દોમાં કહ્યું હતું કે, વિશ્વ અને પાકિસ્તાન આંતકવાદ સામેની લડાઇ હારી રહ્યા છે. તેમણે કહ્યું કે આ ઉગ્રવાદ છે. આ અમારો દેશ છે અને અમે તેની રક્ષા કરીશું. મારા વિચારમાં હાલમાં તાલીબાનનું પલ્લુ ભારે જણાઇ રહ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન કે અફઘાનિસ્તાનના સંબંઘમાં ખરાબ પરિસ્થિતિઓનો મુદ્દો માત્ર નથી. પરંતુ આ સ્થિતિ સતત બગડી રહી છે અને એની અસર એકરીતે સમગ્ર વિશ્વ ઉપર દેખાશે. ઝરદારીનું નિવેદન એવા સમયે આવ્યું છે કે, જ્યારે પીપીપીએ તેમની રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે. સત્તારૂઢ ગઠબંધનમાં પીપીપીના સહયોગી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજના અલગ થવાની અટકળો ઉઠી રહી છે ત્યારે તેમણે દાવો કર્યો છે તેમની પાસે જીત માટે પુરતા મત છે. હત્યા તથા ભષ્ટ્રાચારના આરોપોમાં એક દાયકા સુધી જેલમાં રહેલા ઝરદારીએ કહ્યું હતું કે, તેમની સામે અદાલતમાં કોઇ મામલો ટકી શક્યો નહતો કારણે તે તમામ રાજકારણ પ્રેરિત હતા.