ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Updated : બુધવાર, 13 જાન્યુઆરી 2021 (15:43 IST)

નોકરી - શિક્ષણ વિભાગમાં બંપર ભરતી, ૬૬૧૬ શિક્ષકોની કરાશે ભરતી

રાજ્યમાં બિનસરકારી અનુદાનિત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 5700 શિક્ષણ સહાયકો અને બિનસરકારી અનુદાનિત કોલેજોમાં 927 અધ્યાપક સહાયકોની ભરતી કરાશે. રાજ્યના ઉચ્ચશિક્ષણ તેમજ ઉચ્ચત્તર-માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે રોજગાર અવસર દ્વારા કારકિર્દી ઘડતર માટે સમગ્રતયા 6616 જેટલી નવી ભરતી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે તેવી માહિતી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી હતી. તેમણે ઉમેર્યુ હતું કે, વર્તમાન રાજ્ય સરકારે યુવાનોને શૈક્ષણિક ક્ષેત્રે વ્યાપક રોજગાર આપવા સાથે શિક્ષણ સુવિધાઓનો વ્યાપ વિસ્તારવાના ઉદાત્ત ભાવથી આ નવી ભરતીનો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જે 3382 શિક્ષણ સહાયકોની ભરતી થવાની છે તેની વિગતો આપતાં કહ્યું કે અંગ્રેજી વિષય માટે 624, એકાઉન્ટ એન્ડ કોમર્સ વિષય માટે 446, સોશિયોલોજી વિષય માટે 334, ઇકોનોમિકસ વિષય માટે 276, ગુજરાતી વિષય માટે 254 તેમજ અન્ય વિષયોના શિક્ષણ સહાયકોની ભરતી થશે. તે જ પ્રમાણે બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન વિષય માટે 1037, અંગ્રેજી વિષય માટે 442, સામાજિક વિજ્ઞાન વિષય માટે 289, ગુજરાતી વિષય માટે 234 તેમજ અન્ય વિષયો માટેની મળી કુલ 2307 શિક્ષણ સહાયકોની ભરતી કરાશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની વિસ્તૃત ભૂમિકા આપતાં કહ્યું કે, રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં કેન્દ્રીયકૃત રીતે 927 અધ્યાપક સહાયકોની ભરતી કરવામાં આવશે. રાજ્યની કોલેજોમાં વિવિધ 44 જેટલા વિષયો માટે 927 અધ્યાપક સહાયકો સેવાઓ આ ભરતી પૂર્ણ થતાં મળતી થશે એમ પણ શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ હતું. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, અધ્યાપક સહાયકોની આ ભરતી માટે તા.20 જાન્યુઆરી-2021 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમજ ભરતીની વધુ વિગતો www.rascheguj.in વેબસાઇટ પરથી ઉપલબ્ધ બની રહેશે. આ સાથે રાજ્યની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ 5700 શિક્ષણ સહાયકોની ભરતી રાજ્ય સરકાર કરશે એમ પણ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. નવી બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 3382 અને નવી બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2307 શિક્ષણ સહાયકોની નિમણૂંક કરવામાં આવશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજીએ મુખ્યમંત્રીના દીર્ઘદૃષ્ટિપૂર્ણ આયોજનમાં સમગ્રતયા આ નવી 6616 જેટલી નવી જગ્યાઓ પર યુવા શિક્ષણ સહાયકો ઉપલબ્ધ થતાં શિક્ષણ ક્ષેત્રે કુશળ માનવબળ નવો વર્કફોર્સ રાજ્યના વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતરમાં યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.