શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By કલ્યાણી દેશમુખ|

ક્યા જઈ રહ્યા છીએ આપણે ?

N.D
26 જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે આપણને દેશભક્તિના ગીતો વગાડવા કેટલા ગમે છે - યે દેશ હે વીર જવાનો કા, અલબેલો કા મસ્તાનો કા' અને 'હે પ્રીત જહાં કી રીત જહાં, મે ગીત વહા કે ગાતા હુ, ભારત કા રહેનેવાલા હું ભારત કી બાત સુનાતા હુ' વગેરે. એ ગીત સાંભળતી વખતે કે ગણગણાવતા સમયે આપણું રોમેરોમ પુલકિત થઈ ઉઠે છે. આપણને અભિમાન થાય છે કે આપણે આવા મહાન ભારતમાં જનમ્યા છે, તેથી આપણે ભારતીય છીએ. ભારત વિશે કોઈ કશુ બોલે તો આપણા મનમાં આજે પણ તેના પ્રત્યે રોષ જાગી જાય છે. એનો અર્થ એ કે આજે પણ જો કોઈ દુશ્મન દેશ છુપા બોમ્બ ફેકવાને બદલે હિમંત કરીને સામે આવવાનો પ્રયત્ન કરે તો તેનો સામનો કરવા આપણે તૈયાર છીએ. આજે આ વાત કહેવાનો મારો મતલબ એ નથી કે કોઈ દુશ્મન દેશ આપણી પર હુમલો કરવાનુ છે. કારણ કે જ્યારે આપણે અંદર અંદર જ એકબીજાના દુશ્મનો બની ગયા છે તો બહારના દુશ્મનોની જરૂર જ શુ છે ? બાળપણથી તમે એ કહેવત તો સાંભળી જ હશે કે બે બિલ્લીની લડાઈમાં વાંદરો ફાવી જાય. એ જ રીત આજે આપણે માત્ર હિન્દુ-મુસ્લિમના નામે અને મંદિર-મસ્જિદના નામ પર એકબીજાના દુશ્મન બનતા જઈ રહ્યા છે. જેને જોઈને આનો ફાયદો ઉઠાવનારાઓની તો મોજ છે.

ભારતને પ્રેમ કરનારા મારા વ્હાલા ભારતીયો - એક વાત હંમેશા યાદ રાખજો કે ભારત માત્ર તમારા અને મારાથી નથી બન્યુ. ભારતને આજે દુનિયાની સામે ઉભુ કરવામાં ભારતમાં રહેતા તમામ ભારતીય નાગરિકોનુ એકસમાન યોગદાન છે. આપણે ભારતીય છીએ આપણે સૌ એક એવા દેશના નાગરિકો છીએ જે એક બિનસાપ્રદાયિક દેશ છે. તો પછી આજે આપણે આવા ધર્મ કે જાતિના વિવાદોમાં કેમ આગળ પડતો ભાગ લઈ રહ્યા છીએ. અત્રે એ ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા શાહરૂખે એક નિવેદન આપ્યુ કે તેને પાકિસ્તાની ખેલાડીઓ પ્રત્યે સહાનુભૂતિ છે. અને તે તેમને આઈપીએલમાં થયેલ અન્યાય બદલ આગળ આવ્યા છે. આ વાતને લઈને શિવસેનાએ ઉભો કરેલો વિરોધ આજ સુધી થમ્યો નથી અને તેનુ ગંભીર રૂપ લઈ રહ્યો છે.

IFM
શાહરૂખ આ વાત એ માટે બોલ્યા કે તેઓ પણ આઈપીએલની એક ટીમના માલિક છે, મતલબ કે તેમનો એ વાત સાથે સંબંધ છે. તમે એવુ પણ કહી શકો કે શાહરૂખે કદાચ પોતાની આવનારી ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'ની પ્રસિધ્ધિ વધારવા માટે આવુ કહ્યુ છે. કારણ કે આપણે એ વાતથી અજાણ નથી કે આજકાલ બોલીવુડમાં દરેક અભિનેતા અને અભિનેત્રીઓ પોતાની આવનારી ફિલ્મના પ્રચાર માટે અવનવા સ્ટંટ અપનાવતા રહે છે. માની લો કે શાહરૂખનુ પણ આ એક સ્ટંટ હોઈ શકે. પરંતુ આપણે બધા ભારતીય નાગરિકો શિવસેનાની વાતોમાં આવી રહ્યા છીએ. આ એ જ શિવસેના છે કે જેનુ કામ ફક્ત મારુ મહારાષ્ટ્ર અને મારુ મુંબઈ કરવાનુ જ છે. જે ક્યારેય એવુ નથી કહેતા કે મુંબઈમાં એકવાર આતંકવાદી હુમલો થઈ ગયો છે તો હવે ફરી ન થાય તે માટે શુ કરવુ જોઈએ. તે ક્યારેય પણ મુંબઈ હુમલામાં જોડાયેલ કસાબને ફાંસીએ ચઢાવવા સરકાર પર દબાવ નથી નાખતા. જો તેમણે મુંબઈ પ્રત્યે આટલો પ્રેમ હોત તો મુંબઈ પર જ્યારે હુમલો થયો ત્યારે તેમણે વિરોધ કરીને આટલો હંગામો કેમ ન કર્યો ? મારા પ્રિય ભારતીયો, એક વાત યાદ રાખજો કે દરેક રાજકારણીઓ આપણી નસ-નસને ઓળખી ગયા છે, તેઓ સમજે છે કે આપણો નબળો પોઈંટ છે જાતીવાદ અને ધર્મવાદ. પરસ્પર લડાવીને તેઓ પોતાની ખુરશી સજાવવાનો પ્રયત્ન કરે છે.

આપણી પાસે વિરોધ કરવાના ઘણા મુદ્દા છે, બેકારી, મોંધવારી જે એવા મુદ્દા છે જે આપણા રોજીદા જીવન સાથે વણાયેલા છે. બેકાર રહીશુ તો જીવનનો ગુજારો નહી થાય. મોંધવારી આમ જ વધતી રહેશે તો આપણે જીવનમાં આગળ નહી વધી શકીએ. આજે જ જુઓ ગેસના ભાવ 100 રૂપિયા વધારી દેવાનો વિચાર સરકારે જણાવ્યો. એકબાજુ મંદીને કારણે કેટલાય લોકો પોતાની નોકરીથી હાથ ધોઈ બેસ્યા છે, તો કેટલાયનો બિઝનેસ ઠંડો પડ્યો છે. જેઓ સર્વિસ કરી રહ્યા છે તેમને મોંધવારીની સામે તેટલો પગાર વધતો નથી. આમ છતા સરકાર દિવસો દિવસ મોંધવારી વધારતી રહી છે. ગેસ વગર તો દરેકનુ રસોડુ ઠંડુ છે. વિરોધ કરવો હોય તો આવી વાતોનો વિરોધ કરો અને એ પણ એટલો જોરદાર કરો કે સરકાર વારેઘડીએ આ રીત જીવનજરૂરી વસ્તુઓના ભાવ ન વધારે.

P.R
તમને શિવસેનાની વાત સારી લાગતી હોય અને તમને એવુ લાગતુ હોય કે તે સાચા હિન્દુ છે આપણે તેનો સાથ આપવો જોઈએ, તો એક વાત યાદ રાખજો કે તમારા આ વિરોધનુ તમને કોઈ સર્ટિફિકેટ નથી મળવાનુ કે નથી તમે ક્યારેય મુસીબતમાં પડશો તો આવા કોઈ રાજકારણીઓ તમારી મદદે દોડી આવવાના. તમને શાહરૂખ ખાન ગમતો હોય તો તમારા દ્વારા તેને સહાનુભૂતિ બતાવવાથી તેને પણ કોઈ ફરક પડવાનો નથી. તેની ફિલ્મ ચાલશે તો તેનાથી તમારી કે મારી ઈંકમ નથી વધી જવાની. ફરક તો તમારા અને મારા જેવા સામાન્ય માણસોને પડે છે. આવી વાતોથી માણસનુ મગજ ખરાબ થાય છે. ખરાબ મગજવાળો માણસ પોતાનુ હિત-અહિત નથી વિચારી શકતો. તેથી જરૂરી છે કે આપણે એક સાચા ભારતીય તરીકે આવા વાદ-વિવાદવાળા મુદ્દામાં ન પડીએ. આપણો લોકશાહી દેશ છે. સ્વતંત્ર ભારતમાં દરેકને પોતાના વિચારો કહેવાનો સંપૂર્ણ અધિકાર છે. આપણને આ રીતે અંદરો-અંદર લડતા જોઈને આપણા દુશ્મન દેશ કેટલા હસી રહ્યા હશે. આપણા કરતા પાછળ રહેતો ચીન દેશ આજે તેમની માત્ર માનવીય તાકતને કારણે જ આપણા કરતા પણ આગળ વધી ગયો છે. આ રીતે લડવાથી ભારતનો વિકાસ ક્યારેય નહી થાય. આપણે આગળ વધવાનુ છે, આપણો વિકાસ કરવાનો છે. ભારતનો વિકાસ કરવાનો છે અને આપણા વિકાસમાં જ દેશનો વિકાસ છે. તેથી આવો આપણે સૌ બધા વિવાદોથી દૂર રહીને ભારતના વિકાસમાં સહભાગી થઈએ. આવો સૌ ગર્વથી કહીએ કે અમે ભારતીય છીએ.