શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 23 જુલાઈ 2021 (09:20 IST)

કાશ્મીરમાં નાપાક ષડયંત્ર નિષ્ફળ, પોલીસે ડ્રોનને તોડી પાડ્યુ, વિસ્ફોટક જપ્ત

ભારતની સીમાની અંદર ડ્રોન દ્વારા નાપાક ઈરાદાઓને અંજામ આપવાની કોશિશને એકવાર ફરી નિષ્ફળ કરી દેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના કનાચક વિસ્તારમાં પોલીસે એક ડ્રોનને તોડી પાડ્યુ છે. એવુ કહેવાય રહ્યુ છે કે વિસ્ફોટક સાથે આ ડ્રોનને સીમા પારથી મોકલવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે જમ્મુ એયરફોર્સ સ્ટેશન પર ડ્રોનથી હુમલો થવાને હજુ એક મહિનો પણ પુરો થયો નથી અને આજે એક વાર ફરીથી ડ્રોન જોવા મળ્યુ. જો કે રાહતની વાત એ છે કે તેને જોતા જ તોડી પાડવામાં આવ્યુ. 
 
સમાચાર એજન્સી એએનઆઈ મુજબ  જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, કનાચક વિસ્તારમાં એક ડ્રોનને ઠાર કરવામાં આવ્યો છે અને તેની સાથે વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી છે. સરહદના પાંચ કિલોમીટરની અંદર આ ડ્રોનને ઠાર કરાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ડ્રોનમાંથી પાંચ કિલો વિસ્ફોટકો મળી આવ્યુ છે. કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે વહેલી સવારે આ ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં  સતત સવારના સમયે જ ડ્રોન જોવાની ઘટના સામે આવી છે.
 
ઉલ્લેખનીય છે કે  27 જૂને જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન દ્વારા બે વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. જો કે આ વિસ્ફોટ એટલા તાકતવર નહોતા અને બે જવાનો સામાન્ય રીતે ઘાયલ થયા હતા.  ત્યારબાદ 29 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડ્રોન સહિ‌ત સુરક્ષાની દ્રષ્ટિએ અન્ય ઉભરતા સંકટોને લઈને એક ઉચ્ચ-સ્તરની બેઠક યોજી હતી.
 
બીજી બાજુ અન્ય એક ઘટનામાં બારામુલ્લાના સોપોરમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. આતંકવાદીઓ હોવા અંગેની માહિતી મળતા સુરક્ષા દળોએ એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં હાઉસ ટુ હાઉસ સર્ચમાં પોલીસે આતંકવાદીઓને સરેંડર કરવાનુ કહ્યુ. પરંતુ આતંકવાદીઓએ સુરક્ષા દળોનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો  અને પછી ફાયરિંગ શરૂ કરી દીધુ. પોલીસે જવાબી કાર્યવાહી કરી અને તે બે આતંકીઓ ઠાર કર્યા.