મહારાષ્ટ્ર સરકારે ત્રણ ભાષાઓ પર મોટો નિર્ણય લીધો, ત્રણ ભાષા નીતિનો આદેશ પાછો ખેંચ્યો
મહારાષ્ટ્રની સ્કૂલોમાં પહેલા ધોરણથી હિંદી ભાષાને સામેલ કરવાની 'ત્રણ ભાષા નીતિ' પર જાહેર કરેલો સરકારી આદેશને રાજ્યના મંત્રીમંડળે રદ કરી દીધો છે.
મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કૉન્ફરન્સ કરીને તેની ઘોષણા કરી હતી. આ દરમિયાન નાયબ મુખ્ય મંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર પણ ઉપસ્થિત હતા.
મુખ્ય મંત્રી ફડણવીસે જણાવ્યું કે રાજ્ય સરકાર તરફથી ડૉ. નરેન્દ્ર જાધવની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવશે. જે નક્કી કરશે કે 'ત્રણ ભાષા નીતિ' કયા ધોરણથી લાગુ કરવામાં આવે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે સમિતિએ તેના પર અધ્યયન કરીને રિપોર્ટ આપવા પર ત્રણ મહિનાનો સમય માગ્યો છે.
આ નિર્ણય પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "આ મરાઠી લોકોની તાકત સામે સરકારની હાર છે."
ફડણવીસની ઘોષણા બાદ રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) તથા ઉદ્દવ ઠાકરેની શિવસેના (યૂબીટી)એ 5 જુલાઈના રોજ થનારી રેલી રદ કરી દીધી છે. જોકે, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે 5 જુલાઈના રોજ એક કાર્યક્રમ જરૂરથી થશે.