1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 6 ફેબ્રુઆરી 2023 (17:24 IST)

જંત્રીમાં ભાવ વધારો મારી દ્રષ્ટી વાજબી છે, બમણો વધારો આંચકો આપે એ પણ સ્વાભાવિક છે: નીતિન પટેલ

nitin patel
ગુજરાત સરકારે જંત્રીના દરમાં બમણો વધાર્યો કર્યો છે. આજથી તેનો અમલ પણ શરૂ થઈ ગયો છે. આજે બિલ્ડર્સ એસોસિએશન ક્રેડાઈ દ્વારા મુખ્યમંત્રી સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં તેમણે કેટલીક માંગો રજૂ કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ હકારાત્મક વિચારણા કરવાની ખાતરી આપી હતી. ક્રેડાઈના આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે, આગામી 3 માસ પછી નવો જંત્રી દર લાગુ કરવામાં આવે. નવા ભાવ અમલમાં આવવાથી મકાનના ભાવમાં 35 ટકા નો વધારો થશે. ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જંત્રીના દરમાં વધારાને લઇને નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા 11 વર્ષથી જંત્રીના દરમાં કોઈ વધારો નહોતો કર્યો. જુદા જુદા રાજ્યોમાં દર બે ત્રણ વર્ષે જંત્રીના દરમાં નિયમિત વધારો થતો હોય છે. ગુજરાત સરકારે મધ્યમ અને ગરીબ વર્ગને પોતાનું ઘર મળી રહે તે હેતુથી સરકારે જંત્રીમાં કોઈ વધારો કર્યો ન હતો. તેથી સમય મર્યાદાના અનુસંધાનમાં કરાયેલો જંત્રીમાં વધારો એ વ્યાજબી છે.

જંત્રીની આવક એ ગુજરાત સરકારને થતી કુલ આવકના પ્રમાણમાં ખૂબ જ મર્યાદિત છે. તેમણે ઉમેર્યું હતું કે, ગયા વર્ષે જંત્રી અને એના રજિસ્ટ્રેશનમાંથી લગભગ 10,500 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જીએસટી અને વેટ સહિત અન્ય વેરાની આવકની સરખામણીમાં જંત્રીની આવક 10,500 કરોડ ગયા વર્ષે હતી, જે કુલ આવકના પ્રમાણમાં ખૂબ ઓછી હતી. આ વધારો મારી દ્રષ્ટિએ વ્યાજબી છે, પરંતુ બમણો વધારો કરાયો છે એ જોતા બિલ્ડર અને ગ્રાહકવર્ગને આંચકો લાગે એ સ્વાભાવિક છે. જંત્રીમાં કરાયેલો વધારો મુદતમાં ફેરવી આપવો અથવા કેટલા ટકા વધારો કરવો એ અંગે સરકાર લોકોના હિતમાં નિર્ણય લેશે.

નીતિન પટેલે કહ્યું કે, કાલે કોંગ્રેસના નેતાઓએ કહ્યું છે કે 40 હજાર કરોડ ગુજરાતની જનતા પાસેથી સરકાર જંત્રી બમણી કરી ખંખેરી લેશે. કોંગ્રેસના આ આક્ષેપો પાયાવિહોણા છે. કોંગ્રેસ હજુ પણ ગુજરાતની જનતાએ ભણાવેલા પાઠમાંથી બહાર નથી આવતી. જો ગયા વર્ષે 10,500 કરોડની આવક સરકારને થઈ હોય અને હવે જંત્રીમાં ડબલ વધારો કરવામાં આવે તો સરકારની આવક 22 થી 24 હજાર કરોડ જેટલી થશે.રાજ્ય સરકાર બજેટ સત્ર પછી નવા નિયમોની અમલવારી કરે તેવું પણ બને.