મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 12 સપ્ટેમ્બર 2020 (22:51 IST)

દિલ્હી રમખાણ કેસમાં નોંધાયેલ પોલેસ ચાર્જશીટમાં સીતારામ યેંચુરી,યોગેંદ્ર યાદવ, જયતિ ઘોષનું પણ નામ

પૂર્વ દિલ્હી રમખાણો મામલામાં દિલ્હી પોલીસે દાખલ કરેલી પૂરક ચાર્જશીટમાં માર્ક્સવાદી સામ્યવાદી પાર્ટીના મહામંત્રી સીતારમૈયા યેચુરી અને સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવને પણ સહ કાવતરાખોર તરીકે નામ આપવામાં આવ્યું છે. તેમાં અર્થશાસ્ત્રી જયતી ઘોષ, દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અપુરવાનંદ અને દસ્તાવેજી ફિલ્મ નિર્માતા રાહુલ રાય પણ શામેલ છે
 
દિલ્હી પોલીસે દિલ્હી તોફાનના કેસની પૂરક ચાર્જશિટમાં સીપીઆઈ(એમ)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી, સ્વરાજ અભિયાનના યોગેન્દ્ર યાદવ, અર્થશાસ્ત્રી જયતી ઘોષ, દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અને કાર્યકર અપૂર્વાનંદ તેમજ ડૉક્યુમેન્ટરી ફિલ્મકાર રાહુલ રૉયનાં નામ સહ-ષડ્યંત્રકારીઓ તરીકે નોંધ્યાં છે.
 
સમાચાર સંસ્થા પીટીઆઈએ સંબંધિત જાણકારી આપી છે.
 
સીચારામ યેચુરીએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં ટ્વિટર પર લખ્યું, "ઝેરીલાં ભાષણોનો વીડિયો છે, એના પર કાર્યવાહી કેમ નથી થઈ રહી?"
 
આ સાથે જ તેમણે કેટલાંય ટ્વીટ પણ કર્યાં અને સરકાર પર નિશાન પણ તાક્યું.
 
તેમણે લખ્યું, "આપણું બંધારણ આપણે સીએએ જેવા તમામ પ્રકારના ભેદભાવવાળા કાયદા વિરુદ્ધ શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર જ માત્ર નથી આપતું, આ આપણી જવાબદારી પણ છે. અમે વિપક્ષનું કામ ચાલુ રાખીશું. ભાજપ પોતાની હરકતો બંધ કરે."
 
તેમણે લખ્યું, "દિલ્હી પોલીસ ભાજપની કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રાલયની નીચે કામ કરે છે. તેની આ અવૈધ અને ગેરકાયદે હરકતો ભાજપના ટોચના રાજનાયકોનું ચરિત્ર દર્શાવે છે. તે વિપક્ષના સવાલો અને શાંતિપૂર્ણ પ્રદર્શનથી ડરે છે અને સતાનો દુરુપયોગ કરીને આપણે રોકવા ઇચ્છે છે."
 
બીજી બાજુ, યોગેન્દ્ર યાદવે ટ્વિટર પર લખ્યું કે તથ્યાત્મક રીતે આ ખોટું છે અને આશા છે કે પીટીઆઈ તેને પરત લેશે.
 
યોગેન્દ્ર યાદવ
 
"પૂરક ચાર્જશિટમાં મારો સહ-ષડ્યંત્રકારી કે આરોપીના રૂપે ઉલ્લેખ નથી કરાયો. પોલીસના અસ્પષ્ટ નિવેદનમાં એક આરોપીના નિવેદનના આધારે મારા અને યેચુરી અંગે ઉલ્લેખ કરાયો છે, જે કોર્ટમાં સ્વીકાર્ય નહીં ઠરે."
 
પ્રોફેસર અપૂર્વાનંદે બીબીસીને આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી.
 
તેમણે જણાવ્યું, "આ અત્યંત તકલીફજનક વાત છે કે દિલ્હી પોલીસનાં સંસાધનો ઉપયોગ એક વિચારાત્મક ઉદ્દેશ માટે કરાઈ રહ્યો છે."
 
"દિલ્હી પોલીસથી આશા હતી કે તે ફેબ્રુઆરીમાં હિંસા પાછળના ષડ્યંત્રની તપાસ કરશે અને એના સત્યને શોધશે."
 
"આવું ન કરીને તેણે પોતાની પૂરી શક્તિ સીએએ વિરુદ્ધ કરાયેલા આંદોલનને બદનામ કરવા અને તેનું અપરાધીકરણ કરવામાં અને તેમાં સામેલ અને તેનું સમર્થન કરી રહેલા લોકોનું અપરાધીકરણ કરવામાં લગાવી દીધી."
 
"સરકારનું કોઈ પણ પગલું પછી ભલે તે કાયદો જ કેમ ન હોય, ટીકા કરવાનો અને તેનો વિરોધ કરવાનો, તેને બદલવાના પ્રયાસો કરવાનો બંધારણીય અધિકાર નાગરિકો પાસે છે અને તેને કોઈ પણ રીતે દેશવિરોધી ગણી શકાય નહીં."
 
"અમે હજુ પણ આશા રાખીશું કે દિલ્હી પોલીસ ફેબ્રુઆરીમાં હિંસા પાછળના અસલી ષડ્યંત્રની તપાસ કરે, જેથી માર્યા ગયેલા લોકો અને જેમનું નુકસાન થયું તેમને અને સમગ્ર દિલ્હીને ન્યાય મળે."
 
દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આ જ વર્ષે ફેબ્રુઆરીના આખર સપ્તાહમાં તોફાન થયાં હતાં.
 
તો સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે ટ્વિટર પર લખ્યું, "આ દિલ્હીમાં તોફાનોમાં દિલ્હી પોલીસની દુર્ભાવનાપૂર્ણ પ્રકૃતિને સાબિત કરે છે. સીતારામ યેચુરી, યોગેન્દ્ર યાદવ, જયતી ઘોષ અને પ્રોફેસર અપૂર્વાનંદ પર તોફાન કરવાના આરોપ લગાવવા હાસ્યાસ્પદ વિના વધુ કંઈ નથી."
 
"તેમનાં ભાષણ અને વીડિયો ઉપલબ્ધ છે. કપિલ મિશ્રા અને તેમના સહયોગીઓને છોડી દેવાયા છે."
 
23 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી 2020 દરમિયાન થયેલાં આ તોફાનોમાં 53 લોકોનો જીવ ગયો હતો.
 
13 જુલાઈએ હાઈકોર્ટમાં રજૂ કરાયલા દિલ્હી પોલીસના સોગંદનામા અનુસાર માર્યા ગયેલા લોકોમાં 40 મુસલમાન અને 13 હિંદુ હતા.
 
આ મામલે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચનું કહેવું હતું કે તોફાન પાછળ એક ષડ્યંત્ર હતું.
 
આ એફઆઈઆર આ જ કથિત ષડ્યંત્ર અંગે છે.
 
તોફાનની આ એફઆઈઆરમાં અનલૉફૂલ ઍક્ટિવિટી પ્રવેન્શન ઍક્ટ (UAPA)ની કલમો લગાવાઈ છે. આમાં એ વિદ્યાર્થીનેતાઓનાં નામ પણ સામેલ છે, જે દિલ્હીમાં સીએએ વિરુદ્ધનાં પ્રદર્શનોમાં આગળપડતા હતા.
 
6 માર્ચ 2020એ દાખલ મૂળ એફઆઈઆરમાં માત્ર બે લોકો- જેએનયુના પૂર્વ વિદ્યાર્થીનેતા ઉમર ખાલિદ અને પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા(પીએફઆઈ) સાથે જોડાયેલા દાનિશનાં જ નામ હતાં.
 
પીએફઆઈ પોતાને સમાજસેવી સંસ્થા ગણાવે છે, પણ તેના પર કેરળમાં બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન અને મુસલમાનો વચ્ચે કટ્ટરવાદને ફેલાવવાના આરોપ લાગતા રહ્યા છે.
 
એફઆઈઆર-59ના આધારે અત્યાર સુધી 15 લોકોની ધરપકડ કરાઈ છે. જેમાં સફૂરા ઝરગર, મોહમ્મદ દાનિશ, પરવેઝ અને ઇલિઝાયને જામીન મળી ગયા છે. જ્યારે બાકીના 10 લોકો હજુ પણ ન્યાયિક અટકાયત હેઠળ છે.