પાટીદાર અનામત આંદોલન ફરીથી વેગ પકડશે ? 2016માં 300 સભાઓનું આયોજન
શાંત પડી ગયેલા અનામત આંદોલનને ફરીથી વેગવંતુ બનાવવા માટે આજે મોરબી જીલ્લામાં સૌરાષ્ટ્ર ઝોનની પાસ સમીતીની બેઠક યોજવામાં આવી હતી. મોરબી જીલ્લામાં પાસ સમીતી દ્વારા આયોજીત આ સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં જીલ્લાના કન્વીનરો અને આગેવાનો ઉપસ્થીત રહયા હતા. તેમજ પાસના ઇન્ચાર્જ પ્રવકતા અને અન્ય સહયોગી કન્વીનરો પણ હાજર રહયા હતા. આ બેઠકમાં તમામ તાલુકા-જીલ્લાના કન્વીનરો યથાવત રહેશે અને આંદોલન વેગવંતુ બનાવવા માટે ગામે ગામ ટીમ બનાવવાની જાહેરાત કરી છે.
ગુજરાતના તમામ પાસના તાલુકા જીલ્લાના કન્વીનર જેલમાં બંધ હાર્દિક પટેલે વિનંતી સાથે અપીલ કરતા ચિઠ્ઠી લખીને જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં કોઇ પણ પ્રકારના કાર્યક્રમ રાખવામાં ના આવે અને જો કોઇ કાર્યક્રમ કરવો હોય તો કોર્ટની મંજુરી લઇને સફળતા મળે તેવી રીતે કરવા પાસનું પ્રથમ કામ ગુજરાતમાં 12738 પાટીદાર પ્રભાવીત ગામડાઓમાં પ્રત્યેક ગામ દીઠ 50 યુવાનોની સક્રિય ટીમ બનાવવાનું છે અને આવતા 2 મહિનામાં એક કરોડ સક્રિય કાર્યકર્તાઓ પાસના બનાવવા જણાવ્યું છે. 25 ઓગષ્ટ 2015ના રોજ અમદાવાદમાં થયેલી રેલીની જેમ 25 ઓગષ્ટ 2016ના પાટીદાર ક્રાંતિ દિવસના રોજ સૌરાષ્ટ્ર ખાતે વિશ્વનું સૌથી મોટુ વિશાલ સભાનું આયોજન કરવામાં આવશે. જેમાં પ૦ લાખ પાટીદાર સામેલ થશે અને 26 ઓગષ્ટ 2016ના રોજ પાટીદાર શહીદ દિવસ મહેસાણામાં ર૦ લાખ પાટીદારો હાજર રહીને તે શહીદને શ્રધ્ધાંજલી આપશે. આંદોલન સંપુર્ણ બિન રાજકીય રહેશે. પરંતુ જે રાજકીય પાર્ટી પાટીદાર અનામત આંદોલનને સહયોગ આપશે તેને પાસ સહયોગ આપશે. આંદોલન આન બાન અને શાનથી ચાલુ રહેશે. હક મેળવવો તે અમારૂ ધ્યેય છે. 25 ઓગષ્ટ 2016 પહેલા ગુજરાતમાં 300 સભાઓ યોજવામાં આવશે. 23 માર્ચ 2016 દિલ્હીના સેન્ટ્રલ પાર્ક ગ્રાઉન્ડમાં દેશભરના 117 પાટીદાર સંસદ સભ્ય અને 10,000 સમાજ આગેવાનની સભા યોજવામાં આવશે. ગુજરાતથી લઇને જમ્મુ કાશ્મીર સુધી ગુજરાતના પાટીદારના હક્ક માટે આંદોલન થશે.