Last Modified: સુરત: , બુધવાર, 2 માર્ચ 2016 (15:52 IST)
પાટીદારો લાજપોરમાં એકઠા થશે
પાટીદાર અનામત આંદોલનને સમેટી લેવા અને જેલમાં બંધ પાટીદારોને મુક્ત કરાવાની પ્રક્રિયા એકદમ જોરમાં ચાલી રહી છે ત્યારે બુધવારે ગુજરાતના પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના તમામ 14 કન્વિનરો અને હાર્દિક પટેલ સુરતની લાજપોર જેલમાં મુલાકાત કરવાના છે. બુધવારે સવારે 10 વાગ્યાની આસપાસ 14 કન્વીનરો અને હાર્દિક પટેલ સમાધાન અંગે ચર્ચાઓ કરશે. આ મુલાકાતમાં સરકાર સાથે સમાધાનની શરતો નક્કી કરાશે.
આજની મુલાકાત પછી પાસના કન્વીનરોની એક યાદી જાહેર કરવામાં આવશે. આ સભ્યોની નિમણૂક થયા પછી એ લોકો પાસ વતીથી સરકાર સાથેની સમાધાનની તમામ વાટાઘાટો કરશે. આ બેઠકમાં ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાએ સરકાર વતી સમાધાનની જે શરતો મૂકી છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
થોડા દિવસ પહેલાં સરકાર તરફથી વિઠ્ઠલ રાદડીયાએ હાર્દિક પટેલની લાજપોર જેલમાં મુલાકાત કરી હતી. તો ગઇકાલે સાંજે પાટીદાર અગ્રણી એમ.કાંતિલાલ વાળા, મુકેશ પટેલ અને સંજય મોવલીયાએ પણ હાર્દિક પટેલની રાજપોલ જેલમાં મુલાકાત કરી હતી. હાર્દિક પટેલ અને સમાજના અગ્રણીઓ વચ્ચે સમાધાનને લઇને ચર્ચાઓ થઇ હતી