ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 10 જૂન 2023 (18:15 IST)

પોતાનું વાહન લઈને અંબાજી જતા હોય તો સાવધાન, બનાસકાંઠા કલેક્ટર દ્વારા લેવાયો છે મોટો નિર્ણય

ambaji
અંબાજી 51 શક્તિપીઠ સર્કલથી લઈને જૂના નાકા સુધીનો હાઇવે માર્ગ 'નો વ્હીકલ ઝોન' જાહેર કરવામાં આવ્યો
 
અમદાવાદઃ ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે પોલીસ દંડનીય કાર્યવાહી કરે છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે જિલ્લા કલેક્ટર દ્વારા ટોઈંગ ક્રેનની ફાળવણી કરવામાં આવી છે. જો કોઈ વાહન ચાલક પોતાના વાહનને સરખી રીતે પાર્ક નહીં કરે અથવા તો રસ્તા પર પાર્ક કરશે તો તેમના વાહનને આ ટોઈંગ ક્રેન દ્વારા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે. 
 
આડેધડ પાર્ક કરેલી ગાડીઓથી ટ્રાફિક સમસ્યા
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દરરોજ હજારોની સંખ્યામાં માઇ ભક્તો માં અંબાના દર્શનાર્થે આવતા હોય છે. યાત્રાળુઓ પોતાના પ્રાઇવેટ વાહનોને લઈ માં અંબાના ધામે પહોંચતા હોય છે. અમુક યાત્રાળુઓ પોતાના વાહનોને આડેધડ પાર્ક કરી જતાં રહેતા હોવાથી ટ્રાફિકની મોટી સમસ્યાઓ ઊભી થતી હોય છે. અંબાજી 51 શક્તિપીઠ સર્કલથી લઈને જૂના નાકા સુધીનો હાઇવે માર્ગ 'નો વ્હીકલ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. આ માર્ગ પર અમુક યાત્રાળુ ગાડીને પાર્ક કરી જતા રહેતા હોય છે, જેને લઈને બીજા વાહનો અને સાર્વજનિક વાહનોને આવવા-જવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને મોટી ટ્રાફિક સમસ્યા ઊભી થતી હોય છે.
 
વાહન ટો કરીને પોલીસ સ્ટેશન લઈ જવાશે
હવે અંબાજીમાં પણ વધી રહેલા દર્શનાર્થીઓની સંખ્યાને લીધે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. જેથી તેના નિકાલ માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ટોઈંગ ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. હવેથી નો પાર્કિંગ ઝોનમાં કોઈપણ વાહન પાર્ક થયેલું દેખાશે તો તેને ત્યાંથી ટો કરીને અંબાજી પોલીસ મથકે લાવવામાં આવશે અને વાહનના માલિકને મેમો આપવામાં આવશે. જેથી 'નો પાર્કિંગ ઝોન' અને ગમે ત્યાં પાર્કિંગ કરતા વાહન ચાલકોએ હવે ટ્રાફિક નિયમનું પાલન કરવું જરૂરી બની જશે અને ટ્રાફિક સમસ્યામાં પણ નિરાકરણ આવશે.