1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 13 એપ્રિલ 2023 (16:24 IST)

અમદાવાદમાં વ્યાજખોરોએ ધમકીઓ આપતાં આધેડે દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો

suicide
વ્યાજખોરો બમણું વ્યાજ વસૂલ્યા બાદ પણ ઘરે આવીને બિભત્સ ગાળો બોલતા હતાં
 
અમદાવાદઃ ગુજરાત પોલીસે તાજેતરમાં જ વ્યાજખોરો સામે તવાઈ બોલાવી હતી. લોકો પાસેથી તગડુ વ્યાજ વસૂલને પણ આપઘાત કરવા મજબૂર કરતા વ્ચાજખોરો સામે પોલીસે એક્શન લીધા હતાં. તે છતાંય આ વ્યાજખોરો બેફામ અને બેફીકરણ પણે લોકો પાસેથી વ્યાજ વસૂલી રહ્યાં છે. શહેરમાં ન્યૂ રાણીપમાં રહેતાં આધેડે વ્યાજે લીધેલા પૈસાનું સમયસર વ્યાજ ચૂકવીને મુડી કરતાં પણ બમણી રકમ આપી તે છતાંય વ્યાજખોરોએ તેની પાસે વધુ પૈસાની માંગ કરી હતી અને તેના મકાનમાંથી તેને કાઢી મુકવાની તેમજ બિભત્સ ગાળો બોલીને ઘરે આવીને ધમકીઓ આપતાં હતાં. જેથી આધેડે તેમનાથી કંટાળીને ઉંદર મારવાની દવાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી હતી. 
 
ચાર અને પાંચ ટકા વ્યાજે રૂપિયા લીધા હતાં
પ્રાપ્ત  વિગતો પ્રમાણે અમદાવાદના ન્યૂ રાણિપ વિસ્તારમાં રહેતા હિતેષ ભાઈ રાઠોડ ફર્નિચર કામ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. તેમની દીકરીના લગ્ન હોવાથી તેમના ઘરમાં પૈસાની જરૂર હોવાથી તેમણે પાંચ વર્ષ પહેલાં કલ્પેશ મિસ્ત્રી નામના વ્યક્તિ પાસેથી ચાર ટકા વ્યાજે ત્રણ લાખ રૂપિયા લીધા હતાં. જેના પેટે મકાનનમા કાગળો આપ્યા હતાં. તેમણે આ કલ્પેશને અત્યાર સુધીમાં સાત લાખ વીસ હજાર રૂપિયા ચૂકવી આપ્યાં છે. તે ઉપરાંત તેમણે મુકેશ પંચાલ નામના વ્યક્તિ પાસેથી પાંચ ટકા વ્યાજે 50 હજાર રૂપિયા લીધા હતાં. તેને વ્યાજ સહિત કુલ એક લાખ વીસ હજાર ચૂકવી આપ્યા હતાં. 
 
પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી
જ્યારે હિંમત મિસ્ત્રી પાસેથી એક લાખ ચાર ટકાના વ્યાજે લીધા હતાં જેની સામે એક લાખ 47 હજાર રૂપિયા ચૂકવી આપ્યા હતાં. તથા પ્રભાત રબારી પાસેથી અઢી લાખ રૂપિયા લીધા હતાં અને તેને વ્યાજ સહિત સાડા સાત લાખ રૂપિયા ચૂકવ્યા હતાં. આટલી રકમ ચૂકવી હોવા છતાં આ વ્યાજખોરો મુડી અને તેનું વધુ વ્યાજ માંગતાં હતાં. તેઓ ઘરે આવીને પરિવારની સામે જ ગંદી ગાળો બોલીને ધમકીઓ આપતાં હતાં. જેથી હિતેષ રાઠોડે કંટાળીને ઉંદર મારવાની દવા પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેમના દીકરા અને ભત્રીજાએ તેમને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કર્યાં હતાં. ત્યાર બાદ તેમણે વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.