1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: વડોદરાઃ , શુક્રવાર, 14 જૂન 2024 (18:59 IST)

વડોદરામાં CM આવાસ યોજનામાં 462 ફ્લેટ પૈકી એક મુસ્લિમ સમાજને ફાળવ્યો, લોકોનો હલ્લાબોલ

vadodara CM house
vadodara CM house
 વડોદરામાં પણ એક એવી ઘટના બની છે જેનાથી સ્થાનિક રહીશોએ ‘જય શ્રીરામ અને હર હર મહાદેવ’ના નારા લગાવી વિરોધ કર્યો હતો. વડોદરાના હરણી-સમા લિંક રોડ પર આવેલા મોટનાથ રેસિડેન્સીના આવાસ યોજના અંતર્ગત 462 મકાનો બનાવવામાં આવ્યા છે. જે પૈકી એક મકાનની ફાળવણી લઘુમતી કોમના પરિવારને કરવામાં આવી હોવાની સામે આવ્યું છે. જેથી સ્થાનિકોએ મકાન રદ કરવાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
 
ઉકેલ નહીં આવે તો મુખ્યમંત્રી સુધી જતાં ખચકાશું નહીં
સ્થાનિકોનું કહેવું છે કે, આ વિસ્તાર અશાંત ધારામાં આવે છે, આ રેસિડેન્સીમાં 12 ટાવર છે અને 462 મકાન છે. જે પૈકી 204 નંબરનું એક મકાન લઘુમતી પરિવારને કેવી રીતે ફાળવવામાં આવ્યું છે એ સમજાતું નથી. આ મકાનની ફાળવણી રદ કરીને તેમને લઘુમતી વિસ્તારમાં બનેલી આવાસ યોજનામાં આપવામાં આવે. સામાજિક કાર્યકરોએ કહ્યું હતું કે, છેલ્લા છ માસથી સ્થાનિક લોકો દ્વારા પાલિકાના જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ, તંત્ર દ્વારા દસ્તાવેજ રદ કરવામાં આવતો નથી. જો વહેલી તકે દસ્તાવેજ રદ કરવામાં નહીં આવે તો સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય અને સાંસદને ઘેરાવો કરીને આ મકાનની ફાળવણી રદ થાય તેવા પ્રયત્નો કરીશું.તેમ છતાં ઉકેલ નહીં આવે તો મુખ્યમંત્રી સુધી જતાં ખચકાશું નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી.
 
સ્થાનિકોએ એવું પણ કહ્યું હતું કે, 
આ મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલી મોટનાથ સોસાયટીમાં અત્યાર સુધી લઘુમતિ પરિવાર રહેવા આવ્યો નથી પણ હવે તેઓ રહેવા આવવાના છે. આવી જાણ થતા જ સોસાયટીના રહીશોની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ મકાન વહેલી તકે રદ કરવામાં આવે તેવી અમારી માગ છે.એક જ મકાન એવું હોય તો તેમના વિસ્તારમાં ટ્રાન્સફર કરીને આપવામાં આવે તો તે પણ શાંતિથી રહી શકે. સવાલ એ થાય છે કે, લઘુમતી કોમના વ્યક્તિને એક જ મકાન કેવી રીતે આપ્યું? વિરોધમાં જોડાયેલા લોકો દ્વારા પાલિકાની હાય હાય, અશાંત ધારાનો અમલ કરો અને જય શ્રી રામ અને હર હર મહાદેવના નારા લગાવવામાં આવ્યા હતા.