1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , મંગળવાર, 9 મે 2023 (17:22 IST)

અમદાવાદની મેટ્રો કોર્ટે દિલ્હીના ઉપરાજ્યપાલની અરજી ફગાવી, 21 વર્ષ જૂના કેસમાં ફોજદારી ટ્રાયલ ચાલશે

- દિલ્હીના ઉપ રાજ્યપાલ વિનય કુમાર સક્સેના પર 2002માં સાબરમતિ આશ્રમમાં મેધા પાટકર પર હૂમલો કરવાનો આરોપ છે
- આ કેસમાં ભાજપના ધારાસભ્ય અમિત શાહ, અમિત ઠાકર અને વકીલ રાહુલ પટેલ પણ આરોપી છે
 
સામાજિક કાર્યકર્તા મેધા પાટકર પર હૂમલો કરવાના આરોપમાં દિલ્હીના ઉપ રાજ્યપાલ વિનય કુમાર સક્સેના સેમા અમદાવાદની કોર્ટમાં ફોજદારી કેસ ચાલશે. વિનય કુમાર સક્સેનાએ ડેપ્યુટી ગવર્નર તરીકે તેમને મળેલી ઈમ્યિુનિટીનો ઉલ્લેખ કરીને ફોજદારી ટ્રાયલમાંથી મુક્તી માંગવાની અરજી અમદાવાદની કોર્ટે ફગાવી દીધી છે. એડિશ્નલ મેટ્રોપોલિટન જજ પી.એન. ગોસ્વામીએ વિનય કુમાર સક્સેનાની અરજીને ફગાવી દીધી છે. તેમની પર એવો આરોપ છે કે, 2002માં સાબરમતિ આશ્રમમાં તેમણે મેધા પાટકર પર હૂમલો કર્યો હતો. 
 
મેટ્રો કોર્ટે વિનય કુમાર સક્સેનાની અરજીને ફગાવી દીધી
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે ફોજદારી ટ્રાયલમાંથી મુક્તિની માંગ કરી હતી. જ્યારે સામાજિક કાર્યકર્તા મેધા પાટકર દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મેધા પાટકરના વકીલ દ્વારા કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, તેઓ રાજ્યપાલ નથી અને તેઓ ટ્રાયલમાંથી મુક્તિના હકદાર નથી. મેધા પાટકરના વકીલે એવી પણ દલીલ કરી હતી કે, દિલ્હીના ઉપ રાજ્યપાલ માત્ર રાષ્ટ્રપતિના એજન્ટ છે. તેવામાં તેમણે સંવિધાનના અનુચ્છેદ 361 હેઠળ ઈમ્યુનિટી આપી ના શકાય. આ સુનાવણી બાદ મેટ્રોપોલિટન જજ પી.એન. ગોસ્વામીએ વિનય કુમાર સક્સેનાની અરજીને ફગાવી દીધી હતી. 
 
વિનય કુમાર સક્સેના સામે ફોજદારી કેસ ચાલશે
કોર્ટે ટ્રાયલમાંથી મુક્તિ આપવાની અરજી ફગાવી દીધા બાદ હવે દિલ્હીના ઉપરાજ્ય પાલ વિનય કુમાર સક્સેના સામે ફોજદારી કેસ ચાલશે. આ મામલે સક્સેના સિવાય અમદાવાદની વિધાનસભા સીટો પરથી જીતેલા ભાજપના ધારાસભ્ય અમિત શાહ, અમિત ઠાકર અને વકીલ રાહુલ પટેલ પણ આરોપી છે. 21 વર્ષ બાદ અમદાવાદની મેટ્રો પોલિટન કોર્ટમાં આ મામલે ટ્રાયલ શરૂ થયો છે. જ્યાં સુનાવણીમાં આરોપ નક્કી થશે. આમાં ભાજપના બંને ધારાસભ્યો પહેલીવાર ચૂંટણી જીત્યા છે.