રવિવાર, 8 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , શનિવાર, 30 સપ્ટેમ્બર 2023 (00:30 IST)

વડાપ્રધાને શરૂ કરાવેલી અમદાવાદ મેટ્રો રેલ સુવિધાને એક વર્ષ પૂર્ણઃ જાણો કેટલા લોકોએ લાભ લીધો

Ahmedabad metro rail facility
Ahmedabad metro rail facility

 વડાપ્રધાન મોદીએ પ્રારંભ કરાવેલી અમદાવાદ મેટ્રો રેલ સેવાએ સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે. 30 સપ્ટેમ્બર 2022ના રોજ વડાપ્રધાને શરૂ કરાવેલી મેટ્રો રેલ સેવા હવે અમદાવાદની લાઈફ લાઈન બની ગઈ છે. આ એક વર્ષમાં મેટ્રો રેલમાં સામાન્ય દિવસોમાં સરેરાશ 90 હજાર તથા રજાના દિવસોમાં સરેરાશ 75 હજાર મુસાફરોએ પ્રવાસ કર્યો છે. વહેલી સવારના પ્રવાસીઓની જરૂરિયાતને પહોંચી વળવા સવારના કલાકોમાં વધારાની ટ્રીપ શરૂ કરવામાં અવી છે.
Ahmedabad metro rail facility
Ahmedabad metro rail facility

પ્રારંભે 30 મિનિટના અંતરે મેટ્રોની સેવા મળતી હતી હવે દર 12 મિનિટે મેટ્રોની સેવા આપવામાં આવે છે. મેટ્રો સેવાઓનો સમય સવારે 9થી રાત્રિના 8 વાગ્યા સુધીનો હતો, જે હવે સવારે 6.20થી રાત્રિના 10 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. અમદાવાદ મેટ્રો, અમદાવાદના નાગરિકો માટે વરદાન સાબિત થઇ છે. ટુ-વ્હીલર, રીક્ષા, કાર જેવા વાહનોના વપરાશકર્તાઓએ હવે સલામત અને અનુકૂળ મુસાફરીને કારણે મેટ્રોનો વિકલ્પ પસંદ કર્યો છે. જો બેથી ત્રણ મુસાફરો વચ્ચે એક વાહનની ગણતરી કરવામાં આવે તો આ વર્ષ દરમિયાન અમદાવાદના રોડ પર વાર્ષિક અંદાજે 70 લાખ જેટલા વાહનોની અવર-જવારમાં ઘટાડો થયો હોવાનું અનુમાન કરી શકાય. પરિણામે રસ્તા પરના ટ્રાફિકમાં રાહત મળી હતી અને શહેરના વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

મેટ્રો ટ્રેનમાં વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશનથી થલતેજ મેટ્રો સ્ટેશન સુધીની મુસાફરી માત્ર 39 મિનિટમાં થાય છે જ્યારે APMC થી મોટેરા સુધીની મુસાફરી માત્ર 32મિનિટમાં થાય છે. જેના કારણે મેટ્રો, એક વિશ્વસનીય, સલામત અને આરામદાયક મુસાફરી માટેનું પરિવહન સાબિત થયું છે. ક્રિકેટ મેચ, તહેવારના દિવસો, ભારે વરસાદના દિવસોમાં વિશેષ જરૂરિયાતને પહોંચી વળવા મેટ્રો ટ્રેનની સેવાઓ પુરી પાડવામાં આવે છે. મેટ્રો સ્ટેશનોને અમદાવાદની સ્થાનિક સંસ્કૃતિ, વિશેષતાઓ અને હેરિટેજ સ્મારકોની ઝાંખી દર્શાવતા આર્ટવર્કથી સુશોભિત કરવામાં આવ્યા છે. આ એક વર્ષમાં ક્રિકેટ મેચ દરમિયાન ટ્રેન રેપિંગ, પ્રમોશનલ ઈવેન્ટ્સ, ફિલ્મ શૂટિંગ વગેરે જેવી અન્ય આવક ઉભી કરવાની પ્રવૃત્તિઓ પણ શરૂ કરાઇ છે, જેથી ટ્રેનના ભાડા સિવાય અન્ય આવક પણ થાય છે. ઉત્તર-દક્ષિણ કોરિડોર હવે મોટેરાથી આગળ ગાંધીનગર સુધી લંબાવવામાં આવી રહ્યો છે, આવતા વર્ષે તેનો શુભારંભ કરવાનું આયોજન જીએમઆરસીએ કર્યું છે. મોટેરાથી ગાંધીનગરનો આ કોરિડોર અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મહત્વપૂર્ણ લીંક સાબિત થશે અને બંને શહેરોના મુસાફરોને ટ્રાફિકની ભીડમાંથી મોટી રાહત મળશે તથા બન્ને શહેરના વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે. રાજ્ય સરકારે નાગરિકોને ફાસ્ટ મોબિલિટી સાથેની અદ્યતન પરિવહન સુવિધાઓ આપવાની પ્રતિબદ્ધતા સાથે કાર્યરત કરેલી મેટ્રો મુસાફરોની પસંદગી અને પ્રાથમિકતા બની ગઈ છે.