1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 30 સપ્ટેમ્બર 2023 (00:14 IST)

અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન મુસાફરોને 14 મંદિરોના દર્શન કરાવાશે,AMTSની ધાર્મિક બસ સેવા શરૂ થશે

amts bus
amts bus
નવરાત્રી દરમિયાન અમદાવાદ શહેરના મુખ્ય મંદિરોનાં દર્શન માટે ધાર્મિક બસ પ્રવાસ યોજના 15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી શરૂ કરવામાં આવી છે. જેમાં એક બસ દીઠ રૂ. 2400 નક્કી કરવામાં આવ્યા છે. જેમાં વધુમાં વધુ 40 લોકો મુસાફરી કરી શકશે. આ ધાર્મિક બસ પ્રવાસમાં શહેરનાં અલગ અલગ કુલ 14 જેટલાં મંદિરોમાં દર્શન કરાવવામાં આવશે.

શહેરમાં 14 સિવાયનાં બીજાં સ્થળોએ માતાજી મંદિરોમાં પણ નાગરિકો જવા ઈચ્છતા હશે તો તેઓને તે મંદિરમાં લઈ જવામાં આવશે.AMTS કમિટીના ચેરમેન વલ્લભ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, નવરાત્રિનો તહેવાર હોવાથી લોકો મંદિરોમાં વધુ દર્શન માટે જતા હોય છે. જેને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા આ ધાર્મિક બસ પ્રવાસ યોજનાની મંજૂરી આપવામાં આવી હતી. એક બસના રૂ.2400 લેખે શહેરના મુખ્ય બસ ટર્મિનસ લાલદરવાજા, વાડજ, સારંગપુર અને મણિનગર ખાતેથી બસનું બુકિંગ કરાવી શકાશે.આ બસ પ્રવાસનો સમય 8 કલાકનો નિર્ધારિત રહેશે. સવારે 8:15 થી સાંજે 4.45 સુધીમાં શહેરનાં વિવિધ 14 જેટલાં મંદિરોમાં મુસાફરો દર્શન કરી શકશે. એક બસમાં વધુમાં વધુ 30 સિટિંગ અને 10 ઊભા અથવા 28 સિટિંગ અને 12 ઊભા એમ કુલ 40 જેટલા પેસેન્જર જ જઈ શકશે. મુખ્ય ચાર બસ ટર્મિનસ પર એડવાન્સ રકમ ભરાવીને બુકિંગ કરાવી શકશે. જે તે તારીખ દરમિયાન આ બસ પ્રવાસ યોજનાનો લાભ અમદાવાદીઓ લઈ શકશે.
 
 
અમદાવાદના આ મંદિરોના દર્શન કરી શકાશે
 
વૈષ્ણોદેવી મંદિર (એસ.જી. હાઇવે)
ઉમિયા માતાનું મંદિર (જાસપુર રોડ)
આઇ માતાનું મંદિર (સુઘડ)
કૈલાદેવી માતા મંદિર (ધર્મનગર)
ભદ્રકાળી મંદિર (લાલ દરવાજા)
મહાકાળી મંદિર (દૂધેશ્વર)
માત્રભવાની વાવ (અસારવા)
ચામુંડા મંદિર (અસારવા ચામુંડા બ્રિજ નીચે)
પદ્માવતી મંદિર (નરોડા)
ખોડિયાર મંદિર (નિકોલ)
હરસિદ્ધ માતા મંદિર (રખિયાલ)
બહુચરાજી મંદિર (ભુલાભાઇ પાર્ક)
મેલડી માતાનું મંદિર (બહેરામપુરા)
હિંગળાજ માતાનું મંદિર (નવરંગપુરા)