શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 29 ડિસેમ્બર 2020 (12:41 IST)

વેક્સીનેશન વિશે A to Z માહિતી, 1 સેન્ટર પર 1 દિવસમાં ૧૦૦ લોકોને રસી અપાશે

વૈશ્વિક મહામારી કોરોના સામે નાગરિકોને સુરક્ષિત કરવા માટે ટૂક સમયમાં રસી ઉપલબ્ધ થનાર છે,  ત્યારે આ રસી કેવી રીતે આપવી એ માટે કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન અનુસાર રાજયના આરોગ્ય વિભાગે સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ આ રસી આપવા માટે ડ્રાય રન-મોક ડ્રીલનું આયોજન કરાયું છે.  જે તા  ૨૮ અને ૨૯ ડિસેમ્બર દરમિયાન યોજાઈ રહ્યું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતી રવિએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે આ માટે ચાર રાજયોની પસંદગી કરી છે જેમાં ગુજરાતનો સમાવેશ કરાયો છે. ગુજરાત સહિત આંધ્રપ્રદેશ, પંજાબ અને આસામમાં આ ડ્રાય રન યોજાશે. 
 
ડૉ. જયંતિ રવિએ ઉમેર્યુ હતું કે, રસીકરણ દરમિયાન નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન અને સૂચનો મળી રહે એ હેતુથી રાજય સરકારે ચાર નિષ્ણાત તબીબ તજજ્ઞોની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. જેમાં ડૉ. નવીન ઠાકર-પીડીયાટ્રીક એસોસિએશનના વડા ડૉ. નિશ્ચલ ભટ્ટ- પીડીયાટ્રીશીયન. ડૉ. સપન પંડયા-ઇમ્યુનોલોજીસ્ટ અને ડૉ. ભદ્રેશ વ્યાસ - જામનગર ગુરુ ગોવિંદસિંગ કોલેજના એચઓડી; આ ટાસ્ક ફોર્સના સભ્યો છે. 
 
ડૉ.રવિ એ ઉમેર્યુ કે, રસી આપવા માટે લાભાર્થીઓના મોડ્યુલ પણ તૈયાર કરી દેવાયા છે આ માટે નાગરિકોએ એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. આ રસીનો ડોઝ અઠ્યાવીસ દિવસમાં બે વખત ૧૪ દિવસના અંતરે  લેવાનો રહેશે. રસી લીધા બાદ પણ કોરોના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે જેમાં માસ્ક પહેરવો, સેનિટાઈઝરોનો ઉપયોગ તથા યોગ્ય સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવાનુ રહેશે. આ માટે નાગરિકોનો પૂરતો સહયોગ મળે એ અત્યંત જરૂરી છે.
 
આ રસીકરણ માટે રાજયમાં ૧૬ હજાર વેકસીનેટરને તાલીમબધ્ધ કરી દેવાયા છે. એક સેન્ટર પરથી એક દિવસમાં ૧૦૦ લોકોને રસી અપાશે. રોજના ૧૬ લાખ લોકોને રસી આપી શકાય એવું આયોજન કરાયું છે. 
 
ભારત સરકાર દ્વારા દેશમાં કોવિડ -19 રસીકરણ પ્રોગ્રામના અમલીકરણ પહેલાં રસીકરણની જુદી-જુદી પ્રક્રિયા માટે ડ્રાય રન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે દેશના ચાર રાજ્યોની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં તથા રાજકોટ શહેર અને જિલ્લામાં ડ્રાય રન યોજાઈ રહ્યું છે. આ બંને જિલ્લાઓમાં વેક્સિનેશન માટે 19 સેશન સાઇટ નક્કી કરવામાં આવી છે. ડ્રાય રન અંતર્ગત રસીકરણના આયોજન, અમલીકરણ અને રિપોર્ટિંગની પ્રક્રિયા વચ્ચેના જોડાણોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. 
 
એટલું જ નહીં રસીકરણના વાસ્તવિક અમલીકરણ પહેલા પડકારો અને ઉપાયો વિશે પણ અભ્યાસ થઈ શકે તેવો હેતુ છે. ડ્રાય રન માટે દરેક સેશન સાઇટ માટે 25 લાભાર્થીઓ મળીને કુલ 475 લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી છે. દરેક સેશન સાઇટ પર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીઓ ઉપરાંત UNDP, યુનિસેફ અને WHO દ્વારા મોનીટરીંગ કરાઈ રહ્યું છે. આ ટ્રાયલ દરમિયાન  ફીડબેક તૈયાર કરવામાં આવશે અને આ ફીડબેક ભારત સરકારને પહોંચાડવામાં આવશે. 
 
ભારત કોરોનાની વેક્સિનના સંશોધનમાં અગ્રેસર છે. દેશમાં બે રસી ફેઝ-૨માં અને ત્રણ રસીનું સંશોધન અંતિમ તબક્કામાં છે. ટૂંક સમયમાં ભારતમાં કોવિડ વેક્સિન ઉપલબ્ધ થનાર છે, ત્યારે ગુજરાત સરકારે વેક્સિનેશન માટે અસરકારક અને પરિણામલક્ષી પૂરતું આયોજન કર્યું છે. રસીકરણ અભિયાન માટે રાજ્ય કક્ષાએ મુખ્ય સચિવની અધ્યક્ષતામાં અઠવાડિયામાં બે વખત સ્ટેટ સ્ટિયરીંગ કમિટીની બેઠક યોજાય છે, એટલું જ નહીં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિની અધ્યક્ષતામાં સ્ટેટ ટાસ્ક ફોર્સની બેઠકો યોજાઈ રહી છે. 
 
રાજ્યમાં વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાના છ વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ 41 સ્ટોર તથા 2189 કૉલ્ડ ચેઈન પોઇન્ટ હાલની પરિસ્થિતિએ ઉપલબ્ધ છે. આ તમામ સ્ટોર ખાતેના સાધનોનું તાંત્રિક ઓડિટ કરવામાં આવ્યું છે. ભારત સરકારના માર્ગદર્શન મુજબ હેલ્થ કેર વર્કરની માહિતી તૈયાર કરવામાં આવી રહી છે. 
 
આજ સુધીમાં કુલ 4.31 લાખ હેલ્થ કેર વર્કરો-આરોગ્ય કર્મચારીઓની માહિતી એકત્ર કરવામાં આવી છે. 6.3 લાખ ફ્રન્ટલાઈન વર્કરોની માહિતી એકત્ર કરવામાં આવી છે, ઉપરાંત પચાસ વર્ષથી વધુ વયની 1.3 કરોડ વ્યક્તિઓની વિગતો એકત્ર કરવામાં આવી છે અને અન્ય બીમારી ધરાવતી વ્યક્તિઓ કે જેની વય 50 વર્ષથી ઓછી છે એવી 2.68  લાખ વ્યક્તિઓની માહિતી પણ એકત્ર કરવામાં 
આવી છે. 
 
ગુજરાત રાજ્યની કોવિડ -19 વેક્સિનેશન કમિટીના નિષ્ણાંત તબીબોએ આજે વેક્સિનેશન સંદર્ભે ગુજરાત રાજ્યની સજ્જતા વિશે વિગતવાર માહિતી આપી હતી. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે અને નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર મુકેશ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.