બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીમાં બેદરકારી: રાજ્યના 3,334 શિક્ષકોને દંડ, અમદાવાદમાં 229 સામે કાર્યવાહી
Board Exam teachers fined
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓના મૂલ્યાંકનમાં ક્ષતિ દાખવનારા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં ઉત્તરવહી તપાસતી વખતે માર્ક્સ આપવામાં ભૂલો કરનારા કુલ 3,334 શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે. મૂલ્યાંકન કાર્યમાં પારદર્શિતા અને ચોકસાઈ જળવાઈ રહે તે હેતુથી બોર્ડ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.
માર્ક્સની ભૂલ દીઠ નિયમ મુજબ દંડની વસૂલાત
મૂલ્યાંકન દરમિયાન એક કે તેથી વધુ ગુણની ગણતરીમાં ભૂલ કરનારા શિક્ષકો પાસેથી દંડ વસૂલવામાં આવશે. બોર્ડના નિયમ અનુસાર, ઉત્તરવહીમાં 1 ગુણની ભૂલ માટે ₹100નો દંડ નક્કી કરવામાં આવ્યો છે. શિક્ષક દ્વારા કરાયેલી ભૂલોની સંખ્યા અને ગુણના તફાવત અનુસાર દંડની રકમમાં વધારો થશે. આ કડક નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે શિક્ષકો ઉત્તરવહી ચકાસતી વખતે પૂરતી કાળજી રાખે.
અમદાવાદ જિલ્લાના 229 શિક્ષકો સામે કાર્યવાહી
રાજ્યવ્યાપી કાર્યવાહીના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં પણ બેદરકાર શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં લેવાયા છે. અમદાવાદના 229 શિક્ષકો પાસેથી ₹3,000 સુધીનો દંડ વસૂલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વિદ્યાર્થીઓની ઉત્તરવહી ચકાસણી વખતે યોગ્ય ગુણ ન આપવા અથવા ગુણની ગણતરીમાં ભૂલ કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન થાય.
મૂલ્યાંકન કામગીરીમાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે પણ પગલાં
બોર્ડ દ્વારા માત્ર માર્ક્સની ભૂલ કરનારા શિક્ષકો સામે જ નહીં, પરંતુ મૂલ્યાંકનની કામગીરીથી અળગા રહેનારા શિક્ષકો સામે પણ પગલાં લેવામાં આવ્યા છે. બોર્ડની મહત્વપૂર્ણ મૂલ્યાંકન કામગીરીમાં હાજર ન રહેનારા રાજ્યના 289 શિક્ષકોને પણ દંડ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી બોર્ડ પરીક્ષાની કામગીરીને ગંભીરતાથી ન લેતા શિક્ષકોને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓના ભવિષ્ય અને પરિણામની સુચિતા માટે નિર્ણય
બોર્ડની ઉત્તરવહીના મૂલ્યાંકનમાં થતી નાની ભૂલ પણ વિદ્યાર્થીઓના પરિણામ અને તેમની કારકિર્દી પર સીધી અસર કરે છે. આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને શિક્ષણ બોર્ડે ભૂલના પ્રમાણ મુજબ દંડ વસૂલવાનો નિર્ણય કર્યો છે. દરેક 1 ગુણની ભૂલ દીઠ ₹100નો દંડ વસૂલીને બોર્ડ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે મૂલ્યાંકન પ્રક્રિયામાં સંપૂર્ણ ચોકસાઈ રહે અને દરેક વિદ્યાર્થીને તેના પરિશ્રમ મુજબ યોગ્ય ન્યાય મળે.
