1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Asaram found guilty in rape case, sentence will be announced today

આસારામ રેપકેસમાં દોષી જાહેર, આજે થશે સજાનું એલાન

asaram bapu
ગુજરાતની ગાંધીનગર કોર્ટે એક વિદ્યાર્થીની પર બળાત્કાર કરવાના કેસમાં કથાકાર આસારામ બાપુને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં સજાની જાહેરાત આજે થશે. આ મામલો વર્ષ 2013નો છે, જેમાં આસારામ બાપુ પર સુરતની બે બહેનોએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં આસારામનો પુત્ર નારાયણ સાંઈ પણ આરોપી હતો. આ કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામ બાપુને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં આસારામની પત્ની લક્ષ્મી, પુત્રી ભારતી અને ચાર મહિલા અનુયાયીઓને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. પરંતુ ગાંધીનગર કોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યા હતા.
 
ગાંધીનગર સેશન્સ કોર્ટે આ કેસમાં આસારામને દોષી ઠેરવ્યા છે. આ કેસમાં આસારામના દીકરી અને પત્નીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે પુરાવાના અભાવે આ લોકોને નિર્દોષ જાહેર કર્યાં છે.  લક્ષ્મીબેન (આસારામના પત્ની), નિર્મલાબેન લાલવાણી, મીરાબેન કાલવાણી, ધ્રુવબેન બાલાણી અને જસવંતીબેન ચૌધરીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 
 
2013માં સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને તેના પિતા આસારામ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. નાની બહેને ફરિયાદમાં કહ્યું હતું કે નારાયણ સાંઈએ 2002 થી 2005 વચ્ચે વારંવાર તેની સાથે બળાત્કાર કર્યો હતો. યુવતીના કહેવા પ્રમાણે, જ્યારે તે સુરતમાં આસારામના આશ્રમમાં રહેતી હતી ત્યારે તેના પર બળાત્કાર થયો હતો. તેની મોટી બહેને કહ્યું હતું કે અમદાવાદના આશ્રમમાં આસારામે તેની સાથે ઘણી વખત બળાત્કાર આચર્યો હતો.
 
આસારામ બાપુ હાલ જોધપુરની જેલમાં બંધ છે. તેને 2013માં જોધપુરના આશ્રમમાં 16 વર્ષની છોકરી સાથે બળાત્કારનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. 2018માં જોધપુરની કોર્ટે તેને આ કેસમાં આજીવન કેદની સજા સંભળાવી હતી. જણાવી દઈએ કે આસારામ 10 વર્ષથી જેલમાં છે અને તેમની ઉંમર 80 વર્ષથી વધુ છે.
આગળનો લેખ
હવામાન વિભાગની આગાહી: વરસાદે લીધી વિદાય, પરંતુ ઠંડી સહન કરવા રહેજો તૈયાર