શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 21 એપ્રિલ 2022 (09:01 IST)

આસામ પોલીસે જિજ્ઞેશ મેવાણીની કરી- આસામ પોલીસે જિજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ કરી

jignesh
ગુજરાતના બનાસકાંઠાની વડગામ વિધાનસભાની બેઠક પર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની બુધવાર રાત્રે 11:30 વાગ્યે પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી આસામની કોકરાજાર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
 
જ્યાંથી તેમને પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ અમદાવાદ ઍરપૉર્ટથી આસામ લઈ જવામાં આવ્યા હતા.
 
 
જિજ્ઞેશ મેવાણી દ્વારા રજૂ કરાયેલી પ્રેસનોટમાં જણાવાયું હતું કે "સમગ્ર મામલામાં આસામ પોલીસ દ્વારા શરૂઆતમાં અમદાવાદ ઍરપૉર્ટ લાવવામાં આવ્યા ત્યાં સુધી ધરપકડનું કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું. FIRની નકલ પણ આપવામાં આવી નહોતી તથા વકીલ સાથે વાત પણ કરવા દેવામાં નહોતી આવી.
 
જ્યારે અમદાવાદ ઍરપૉર્ટ ખાતે જિજ્ઞેશ મેવાણીના સમર્થકો અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, ધારાસભ્યો સી.જે. ચાવડા, ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય વિમલ શાહ, શહેરપ્રમુખ નીરવ બક્ષી, શાહનવાઝ શેખ દ્વારા વિરોધ કરવામાં આવ્યો તે બાદ જ FIRની કૉપી આપવામાં આવી હતી
 
આ સમગ્ર મામલે વિરોધ પ્રદર્શિત કરતાં ગુજરાત કૉંગ્રેસ પ્રદેશપ્રમુખ જગદીશ ઠાકોર સહિતના કૉંગ્રેસના નેતાઓએ સૂત્રોચ્ચાર કરી જિજ્ઞેશ મેવાણીની ધરપકડનો વિરોધ કર્યો હતો.
તેમણે ટ્વીટર પર પોતાનો આક્રોશ ઠાલવતાં લખ્યું હતું કે, "આસામ પોલીસે MLA જિજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ કરી, અડધી રાત્રે ઍરપૉર્ટ મારફતે આસામ લઈ ગયા છે. મધરાત્રે સાડા ત્રણ વાગ્યે અમદાવાદ ઍરપૉર્ટ ખાતે મુલાકાત કરી. લડાયક યુવાનો ભાજપની સરકાર સામે પ્રજાનો અવાજ ઉઠાવે છે ત્યારે ભાજપ સરકાર ડરાવી રહી છે. પરંતુ અમે ડરીશું નહીં લડીશું."
 
સમાચર સંસ્થા ANIએ જિજ્ઞેશ મેવાણીની ધરપકડની પુષ્ટિ કરતાં ટ્વીટ કર્યું હતું.
 
ANIના ટ્વીટ અનુસાર કોકરાઝારના એસપી થુબે પ્રતીક વિજયકુમારે જણાવ્યું હતું કે કોકરાજાર પોલીસે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી બુધવારે રાત્રે ધરપકડ કરી હતી.
સોશિયલ મીડિયા પર વડા પ્રધાનને ગુજરાતમાં કોમી હુલ્લડ થયા હોય તેવા વિસ્તારોમાં જઈને શાંતિ જાળવી રાખવાની અપીલ કરતી ટ્વીટના કારણે ફરિયાદ દાખલ થવાના લીધે આ ધરપકડ કરવામાં આવી હોવાનું આસામ પોલીસ દ્વારા અંતે જણાવવામાં આવ્યું હતું.
 
જિજ્ઞેશના સાથી અને વકીલ એવા સુબોધ કુમુદે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "શરૂઆતમાં તો પોલીસ FIR પણ આપવા તૈયાર નહોતી. કોઈને વાત કરવા દેવા પણ તૈયાર નહોતી. આ એક પ્રકારે ડરાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આનાથી અમને કોઈ ફરક પડવાનો નથી. સરકારની તાનાશાહી સામે અમારી જે લડાઈ ચાલુ હતી તે ચાલુ જ રહેશે."
 
આસામનાં કોકરાજાર પોલીસ સ્ટેશન દ્વારા જે FIR જિજ્ઞેશની ધરપકડ માટે રજૂ કરવામાં આવી છે તેમાં જિજ્ઞેશનાં બે ટ્વીટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં તેમણે વડા પ્રધાનનો ઉલ્લેખ ગોડસેને પોતાના આરાધ્ય દેવ માનવાવાળા તરીકે કર્યો છે. તે ટ્વીટમાં તેમને અપીલ કરવામાં આવી છે કે ખંભાત, હિંમનગર અને વેરાવળમાં થયેલી હિંસા મામલે શાંતિની અપીલ કરે.
 
FIRમાં જણાવાયું છે કે આ ટ્વીટની વ્યાપક ટીકા થઈ છે. શાંતિ અને ભાઈચારાને ખલેલ ન પહોંચે તે માટે તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે છે.