1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 ડિસેમ્બર 2020 (17:33 IST)

આવતીકાલે સુશાસન દિવસની ઉજવણી કરશે ભાજપ, PM મોદી ખેડૂતોને કરશે સંબોધન

દર વર્ષે ભારત રત્ન, દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ પ્રદેશ ભાજપા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને અટલ બિહારી વાજપેયીજીના જન્મદિનને ઉજવવામાં આવશે. આ કાર્યક્રમોમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ હોદ્દેદારો/અગ્રણીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સ્થાનિક ભાજપા સંગઠનના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ વિવિધ સ્થાનોએ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
 
આવતીકાલે 'પીએમ-કિસાન સન્માન નિધિ યોજના' અંતર્ગત  દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા જમા કરાવવામાં આવનાર છે, જે સંદર્ભે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 12.00 કલાકે દેશભરના ખેડૂતોને સંબોધન કરવાના છે તે કાર્યક્રમનું રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં LED સ્ક્રિન દ્વારા નિહાળવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. ગામડે ગામડે ખેડૂતોને ભાજપા સરકાર દ્વારા ખેડૂતોની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરવા માટે કરવા આવેલા મહત્વપુર્ણ નિર્ણયો અંગે સંવાદ કરવામાં આવશે.
 
આવતીકાલે પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીજીના જન્મદિનની 'ગુડ ગવર્નન્સ ડે' તરીકેની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં 248 તાલુકા મથકોએ ગુજરાતની ભાજપા સરકાર દ્વારા 'કિસાન કલ્યાણ કાર્યક્રમો' યોજાશે જેમાં લાભાર્થીઓને કૃષિ કલ્યાણલક્ષી વિવિધ લાભ સહાય આપવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ, અધિકારીઓ, પ્રદેશ અગ્રણીઓ વિવિધ સ્થાને ઉપસ્થિત રહેશે.
 
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે આવતીકાલે ભાજપા દ્વારા દર વર્ષની જેમ રાજ્યના ૫૧ હજારથી વધુ બુથમાં વાજપેયીજીને પુષ્પાંજલિના કાર્યક્રમ, તેમના વ્યક્તિત્વ, કતૃત્વ અને દેશ માટેના યોગદાનનું સ્મરણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં ભાજપા સરકાર દ્વારા કાર્યરત અંત્યોદયને લગતી યોજનાઓની માહિતી આપવા અંગેના કાર્યક્રમ ઉપરાંત રક્તદાન શિબિર અને હોસ્પિટલોમાં ફળફળાદી વિતરણ કરવામાં આવશે તેમજ જીલ્લા દીઠ વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કરી પરમ શ્રદ્ધૈય અટલ બિહારી અટલજીની કવિતાઓનું કાવ્યપઠન કરી તેમને સ્મરણાજંલી અપર્ણ કરવામાં આવશે.