બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 10 એપ્રિલ 2017 (16:12 IST)

સુરતમાં BRTS બસમાં આગ લાગી, ડ્રાઈવરની સમય સૂચકતાઓ મુસાફરોને બચાવ્યાં

સુરતના અડાજણ વિસ્તારમાં ભારે વાહનોથી ધમધમતા ઋષભ ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેથી સમગ્ર બસ આગની જ્વાળાઓમાં પરિવર્તીત થઈ ગઈ હતી. સળગતી બસમાંથી ધુમાડાના ગોટા અને આગની જ્વાળાઓથી આસપાસમાં ભયનો માહોલ ફેલાયો હતો. વળી બસ જ્યાં સળગી ત્યાંથી નજીકમાં જ પેટ્રોલ પમ્પ આવેલો હતો. જેથી ભારે ગભરાહટનો માહોલ પેદા થયો હતો. ડ્રાયવરે સમય સુરચકતા વાપરી અને તમામ મુસાફરોને ઇમર્જન્સી ગેટમાંથી બહાર જવાનો રસ્તો કરી આપ્યો હતો.

જેથી તમામ મુસાફરો સલામત બહાર નીકળી ગયા હતા.સમગ્ર બસ ખાલી થઇ ગઇ ત્યાં સુધીમાં આગની જ્વાળાઓ વધી ગઇ હતી. એકા એક લાગેલી આગને કારણે બીઆરટીએસ રૂટની આસપાસ વાહન ચાલકો પણ જમા થઇ ગયા હતા અને સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં રોડ પર સળગતી બસ જોવા દોડી આવ્યા હતાં. બીઆરટીએસ બસમાં આગ લાગ્યાની માહિતી ફાયરબ્રિગેડને આપવામાં આવી હતી. પરંતુ ચાર રસ્તા પર જ બસમાં ભયાવહ આગ લાગી હોવાથી ચારે તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો. જેથી ફાયરબ્રિગેડની ગાડીઓને ઘટનાસ્થળે પહોંચતા ભારે સમય લાગ્યો હતો. આ દરમિયાન બસ સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી. બનાવ અંગે જાણ થતા ફાયર બ્રીગેડના લાશ્કરોએ તુરંત ઘટના સ્થળ પર દોડી જઇ અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે, થોડા સમય માટે રાંદેર રોડ અડાજણ પાટીયાથી વૃષભ ટાવર અને નવયુગ કોલેજ સુધીના વિસ્તારમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. આ બનાવ બાદ અડાજણ પાટીયાથી જહાંગીરપુરા તરફ જતા અને ભાઠા ગામ તરફ જતા બીઆરટીએસ રૂટની તમામ બસ બંધ કરી દેવામાં આવી છે.