શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 નવેમ્બર 2019 (11:04 IST)

છઠ પૂજામાં રૂપાણી હાજરીએ આપી, કહ્યું: ગુજરાતના વિકાસમાં અન્ય પ્રાંત પ્રદેશોના લોકોનું પણ યોગદાન

અમદાવાદમાં સાબરમતી નદીના તટે બિહારી પરિવારોના છઠ પૂજા ઉત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જોડાયા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના સમાજ જીવન અને ભૂમિની ખાસિયત છે કે સૌ સમાજ વર્ગો અને પ્રદેશોના પરિવારોના તહેવારો પણ ઉમંગ-ઉત્સાહથી સાથે મળીને સમાજિક સમરસતાથી ઉજવાય છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, છઠ મહાપર્વની ઉજવણીમાં ઉત્તર ભારતીય ભાઈ-બહેનો સાથે સહભાગી થવાનું મને સૌભાગ્ય મળ્યું છે. છઠ પૂજાએ બિહાર, પૂર્વીય ઉત્તર પ્રદેશ સહિતના ઉત્તર ભારતીય પ્રાંતોનું મુખ્ય પર્વ છે.

આપણી ભારતીય સંસ્કૃતિમાં ઉગતા સૂર્યની ઉપાસના-પૂજાનું પરાપૂર્વથી મહત્વ સ્વીકારાયું છે. પરંતુ આ છઠ પૂજા ઉત્સવ એ એવો અનેરો ઉત્સવ છે કે જેમાં ઢળતા સૂર્યની પણ પૂજા અર્ચના થાય છે.જરાતના વિકાસમાં અન્ય પ્રાંતપ્રદેશોના લોકોનું પણ યોગદાન છે. ગુજરાતમાં રોજગાર અને વ્યવસાય માટે પ્રાંત-પ્રદેશના લોકોની સુરક્ષા અને સલામતીની જવાબદારી પણ સરકાર નિભાવી રહી છે.

આ પર્વ ફક્ત બિહારીઓ માટે જ નહીં પણ ગુજરાતીઓ માટેનું પણ એક પર્વ બની ગયું છે. નવરાત્રિ હોય કે ગણેશ ઉત્સવ કે પછી રથયાત્રા યા દુર્ગાપૂજા કે છઠ ઉત્સવ દરેક રાજ્યમાં વસતા પરિવારો-નાગરિકો સાથે મળીને આ ઉત્સવો ઉજવે છે.ગુજરાત અને બિહારની ધરતી ઐતિહાસીક સંબંધો ધરાવતી અને પ્રતાપી ધરતી છે. ગુજરાતે ભારતીય સંસ્કૃતિને ગાંધી, સરદાર જેવા મહાનુભાવો આપીને દિશાદર્શન આપ્યું છે. તો બિહારે લોકનાયક જયપ્રકાશ નારાયણનું નેતૃત્વ આપ્યું છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, બિહારનો ચંપારણ્ય સત્યાગ્રહ તો ગુજરાતનો દાંડી સત્યાગ્રહ. મહાત્મા ગાંધીના આ બંને સત્યાગ્રહોએ અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી મુક્યા હતા. ગુજરાતથી ચંપારણ ગયા હતા એ મોહનદાસ ગાંધી હતા. પણ ચંપારણની ધરતીએ મોહનદાસને મહાત્મા ગાંધી બનાવ્યાં. તેમણે બિહારના ગયા પિતૃશ્રાદ્ધ તર્પણ અને ગુજરાતના સિદ્ધપુરની માતૃશ્રાદ્ધ તર્પણ તીર્થ તરીકેની ખ્યાતિ પણ બિહાર અને ગુજરાતના સંદર્ભમાં આપી હતી.

બિહાર, ઝારખંડ, પૂર્વીય ઉત્તર પ્રદેશના અનેક પરિવારોએ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી છે તેમજ ગુજરાતના વિકાસના પણ તેઓ સહયોગી છે. બિહાર, ઝારખંડ, પૂર્વીય ઉત્તર પ્રદેશના જે પરિવારો ગુજરાતમાં રોજગારી-ધંધા-વ્યવસાય માટે આવીને વસ્યા છે તે સૌ આ પર્વની સમૂહ ઉજવણી ગુજરાતીઓ સાથે મળીને વર્ષોથી કરતા આવ્યા છે. આ પ્રસંગે રાજ્યસભામાં સાંસદ પ્રભાત જ્હાએ છઠ પર્વની ગુજરાતમાં વસતા બિહારીવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, આજે ગુજરાત એક સમુદ્ધીને માર્ગે ચાલી રહ્યું છે. બિહારીઓ સંપૂર્ણ સલામતી અને શાંતિપૂર્ણ રીતે વસવાટ કરે છે અને રોજીરોટી, રોજગારી મેળવે છે.

આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ છઠ પૂજાના આ પવિત્ર પર્વ પર શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, સાબરમતી નદીનો આ તટનું મહત્વ છઠ પૂજાના મહોઉત્સવને કારણે વધી ગયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભૂતકાળમાં પ્રાંત-ભાષાને નામે ગુજરાતમાં સમાજિક શાંતિ-સલામતીને ખલેલ પહોંચાડવાના કેટલાક તત્વોના પ્રયાસોને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇના નેતૃત્વમાં રાજ્ય સરકારે મક્કમતાથી નાકામયાબ બનાવ્યા છે.