શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2023 (17:21 IST)

વડોદરામાં 111 ફૂટની રાજ્યની એકમાત્ર સોનાની પ્રતિમાનું મહાશિવરાત્રિએ CM લોકાર્પણ કરશે

gold shiv
વડોદરાના સુરસાગર તળાવમાં સ્થિત 111 ફૂટની શિવજીની પ્રતિમાને 12 કરોડ રૂપિયાના ખર્ચે સોનાથી મઢવામાં આવી છે. મહા શિવરાત્રિ પર્વ પહેલા જ પ્રતિમાનું કપડાનું આવરણ દૂર કરવામાં આવ્યું છે. આ પ્રતિમાનું લોકાર્પણ 18 ફેબ્રુઆરીએ મહા શિવરાત્રિ પર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.

શિવજીની પ્રતિમાને સુવર્ણ જડિત કરવા માટે 17.5 કિલો સોનું વપરાયું હતું. દેવાધિ દેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહા શિવરાત્રિના પાવન દિવસે પરંપરાગત રીતે નીકળતી શિવજી કી સવારીની તડામાર તૈયારીઓ સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી છે. તની સાથે શહેરના મધ્યબિંદુ સુરસાગર સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઉંચી પ્રતિમા હવે સુવર્ણજડિત થઈ જતા મહાશિવરાત્રી પર્વે તેનું લોકાર્પણ કરવામાં આવશે. લોકાર્પણ પહેલાં આજે પ્રતિમાને ખુલ્લી મુકવામાં આવતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા.

વર્ષ-2013થી શિવજી કી સવારી કાઢવામાં આવી રહી છે. અને આ શિવજી કી સવારીમાં સમગ્ર વડોદરા શહેરના લોકો ઉત્સાહભેર જોડાય છે.2017માં શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઉંચી આદર્શીનીય પ્રતિમાને સુવર્ણ જડિત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. વડોદરા શહેર-જિલ્લા, દેશ-વિદેશના અનેક દાતાઓએ ઉદાર હાથે ફાળો આપવાની ઇચ્છા વ્યકત કરી હતી. યોગાનુયોગ 5 ઓગષ્ટ 2020ના દિને એકબાજુ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રી રામ મંદિરના નિર્માણનો પ્રારંભ થયો હતો. અને બીજી બાજુ શિવનગરી વડોદરામાં શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સૂવર્ણ આવરણ ચઢાવવાના ભગીરથ કાર્યનો પ્રારંભ થયો હતો. શિવજીની પ્રતિમાને સુવર્ણ જડિત કરવા માટે અમેરિકામાં સ્થાયી ડૉ.કિરણ પટેલ અને દેશ- વિદેશના અનેક દાતાઓએ 111 ફૂટ ઉંચી શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પર આશરે 17.5 કિલોગ્રામ સુવર્ણ ચઢાવવા માટેના રૂપિયા 12 કરોડના અંદાજીત ખર્ચને પહોંચી વળવા દાન આપ્યુ છે.

હવે આખી પ્રતિમા સંપૂર્ણપણે સુવર્ણ જડિત થઈ છે. જેનુ લોકાર્પણ આગામી 18 ફેબ્રુઆરી મહા શિવરાત્રિની સંધ્યાએ થશે. મહા શિવરાત્રિની બપોરે 3-30 કલાકે પરંપરા મુજબ પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવાર નગરયાત્રાએ નિકળશે અને વર્ષોની પરંપરા મુજબ શિવજી કી સવારી વાડી-ચોખંડી માંડવી ન્યાયમંદિર માર્કેટ-દાંડીયાબજાર થઈ સાંજે 7 કલાકે સુરસાગર પહોંચશે. જયાં 7:15 કલાકે મહાઆરતી યોજાશે. જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે અને મુખ્ય મહેમાનો દ્વારા સુવર્ણ જડિત પ્રતિમા ખૂલ્લી મુકાશે.

મહાઆરતી બાદ શિવજી કી સવારી પરંપરાગત રૂટ પર આગળ વધશે અને ઉદયનારાયણ મંદિર સલાટવાડા ખાતે શિવજી કી સવારીનું સમાપન થશે. શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાના નિર્માણના કાર્યનો 1996 માં શરૂ થયેલા અધ્યાયની સુવર્ણ જડિત આવરણના અનાવરણ સાથે પૂર્ણ થશે. આ કાર્યમાં સહભાગી બનેલા ડૉ. કિરણ પટેલ, શ્નિલેશ શુક્લ, ક્રેડાઇના અધ્યક્ષ અને જાણીતા બિલ્ડર મયંક પટેલ, બિલ્ડર શ્રેયસ શાહ અને પિયુષ શાહે યવોગદાન આપ્યું છે.સુરસાગર તળાવની મધ્યે બિરાજમાન શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની પ્રતિમા, પ્લેટફોર્મ અને સ્તંભોની રચનાને ‘અષ્ટસિદ્ધિ યંત્ર’ વિદ્યા ઉપર રચવામાં આવી છે. પ્રતિમા અને તેના પ્લીન્થથી માંડીને સંપૂર્ણ સ્ટ્રક્ચરને બનાવવામાં અંકશાસ્ત્ર, જ્યોતીષ વિજ્ઞાન, ગ્રહ વિજ્ઞાન, રંગવિજ્ઞાન, સ્પંદન શાસ્ત્ર અને રાશિ-કુંડલીનો સહારો લેવામાં આવ્યો છે. મૂળ ઓરિસ્સાના કારીગર રાજેન્દ્ર નાયક અને તેમની ટીમ દ્વારા પ્રતિમાને સુવર્ણ જડિત કરવાનું આ કામ કરવામાં આવ્યું હતું. રાજેન્દ્ર નાયક અને તેમની ટીમે અંબાજી, શેરડી સાંઈબાબા મંદિર સહિત દેશના 50 જેટલા ધાર્મિક સ્થળોમાં સોનાનું આવરણ ચઢાવવાનું કામ કર્યું છે.