શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 12 ડિસેમ્બર 2021 (13:27 IST)

ગુજરાતમાં ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર પર કોંગ્રેસની નજર, પર OBC વોટબેંક નિર્ણાયક પરિબળ

ઉત્તર ગુજરાતના  OBC નેતા અલ્પેશ ઠાકોર પર કોંગ્રેસની નજર છે. અલ્પેશ ભાજપમાં જોડાયા બાદ પોતાને અલગ અનુભવી રહ્યા છે. કોંગ્રેસ વતી ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ અલ્પેશને ખુલ્લુ આમંત્રણ આપ્યું છે. આ પછી હવે આ જ સમાજના ભાજપના સાંસદે પણ સક્રિયતા દાખવી સમાજના યુવકો સામે નોંધાયેલ કાયદેસરનો કેસ પાછો ખેંચવા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે.
 
ગુજરાતમાં ઓબીસી, દલિત, આદિવાસીનું સમીકરણ વધુ મજબૂત કરવા કોંગ્રેસની નજર હવે ઉત્તર ગુજરાતના ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર પર છે. અલ્પેશ 2017ની ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા, પરંતુ બાદમાં ભાજપમાં જોડાયા હતા. પેટાચૂંટણીમાં તેમની હાર બાદ તેઓ રાજ્યના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે.
 
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ પોતાની વોટ બેંકને આકર્ષવા માટે હરીફાઈ કરી રહ્યા છે. પાટીદાર સમાજ બાદ હવે ઓબીસી સમાજે પણ અનામત આંદોલન અને ગેરકાયદેસર દારૂના અડ્ડા સામે જનતા દરોડા દરમિયાન ઓબીસી સમાજના યુવાનો પર નોંધાયેલા કેસો પાછા ખેંચવાની માંગણી કરી છે. ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ માંગણી કરી છે. 
 
ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીનું કહેવું છે કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર સમાજના અનેક યુવાનો પર ગંભીર કેસ નોંધાયા હતા, સરકારે અત્યાર સુધીમાં સોથી વધુ કેસો પાછા ખેંચી લીધા છે, પરંતુ હજુ પણ ઘણા કેસ ચાલી રહ્યા છે. ભરતસિંહ ડાભીનું કહેવું છે કે જો પાટીદાર યુવાનો સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવામાં આવે તો સરકારે અન્ય સમાજના યુવાનો સામે ચાલી રહેલા ફોજદારી કેસો પર પણ વિચાર કરવો જોઈએ.
 
મુખ્યમંત્રીને લખેલા પત્ર અંગે સાંસદ ભરતસિંહ ડાભીનું કહેવું છે કે અનામત આંદોલનથી શરૂ થયેલા ઓબીસી એકતા મંચના આંદોલન અને દારૂના ગેરકાયદેસર ધંધા સામે જાહેર દરોડા દરમિયાન ઓબીસી સમાજના યુવાનો પર નોંધાયેલા કેસો પાછા ખેંચવા જોઈએ. ડાભીનું કહેવું છે કે ફિલ્મ પદ્માવતને લઈને ગુજરાતમાં કરણી સેનાના આંદોલન દરમિયાન રાજપૂત યુવકો સામે પણ કેસ નોંધાયા હતા. 
 
સાંસદનું કહેવું છે કે જ્યારે આંદોલનો ખતમ થઈ ગયા છે ત્યારે હવે તેમની સાથે સંબંધિત કેસ ચલાવવાનું યોગ્ય નથી. જો પાટીદાર સમાજના યુવાનો સામેના કેસો પાછા ખેંચી શકાય તો અન્ય સમાજને પણ તેનો લાભ મળવો જોઈએ. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતની લગભગ ત્રણ ડઝન વિધાનસભા બેઠકો પર OBC વોટબેંક નિર્ણાયક પરિબળ છે.