1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 જાન્યુઆરી 2022 (09:53 IST)

કિશન ભરવાડની હત્યાના પડઘા અમદાવાદ જિલ્લામાં પડ્યા, શુક્રવારે રાણપુરે બંધ પાડ્યો, આજે બાવળા બંધનું એલાન

ધંધૂકામાં 25 તારીખે ધોળા દિવસે બાઈક ઉપર આવેલી બે વ્યક્તિઓએ સરાજાહેરમાં કિશન ભરવાડ નામના યુવક ઉપર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યાં છે. અને ધંધુકા બાદ બોટાદ, રાણપુર બંધ રહ્યા પછી આજે શનિવારે બાવળા સંપૂર્ણ બંધનું એલાન હિન્દુ યુવા વાહીની, વિશ્વ હિન્દુ પરીષદ અને હિન્દુ સામાજીક આગેવાનો દ્વારા આપવામાં આવ્યું છે.

આ બંધના એલાનને બાવળાનાં નાના-મોટાં વેપારીઓને સહકાર આપવા જણાવવામાં આવ્યું છે. આ હત્યા કેસમાં બે મૌલવીની ભૂમિકાઓ ઉપર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદના જમાલપુરમાં રહેતા ઐયુબ મૌલવીનું નામ સામે આવ્યું છે. બંધના એલાનને પગલે બાવળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.આજે શનિવારે બાવળા સંપૂર્ણ બંધનું એલાન હિન્દુ યુવા વાહીની, વિશ્વ હિન્દુ પરીષદ અને હિન્દુ સામાજીક આગેવાનો દ્વારા આપવામાં આવ્યું છે.આ બંધના એલાનને બાવળાનાં નાના-મોટાં વેપારીઓને સહકાર આપવા જણાવવામાં આવ્યું છે.

બીજી તરફ વિરમગામ કોઠારી બાગથી તાલુકા સેવાસદન સુધી રેલી યોજી વિરમગામ તાલુકા સેવા સદન ખાતે વિરમગામ મામલતદાર અને પ્રાંત કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને માલધારી સમાજ દ્વારા સંયુક્ત રીતે ધંધુકા શહેરમાં કિશન ભરવાડના બનાવ બાબતે વિરોધ વ્યક્ત કરી સદર કેસમાં આંતકવાદ વિરોધી ધારો લગાવી હુમલાખોરો વિરુદ્ધ સખત પગલા લેવાની માંગ સહિત વિવિધ માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હત્યારાઓ સામે તાત્કાલિક અસરથી શિક્ષાત્મક પગલા લેવાય તેવી માંગ કરવામાં આવી રહી છે. નજીવી બાબતમાં આ પ્રકારે કોઈ યુવકની હત્યા કરી દેવામાં આવે તે યોગ્ય નથી. એ પ્રકારની માંગ ભરવાડ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરી રહ્યા છે. કિશન ભરવાડની જે પ્રકારે હત્યા કરવામાં આવી છે. તેને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. શુક્રવારે મોટી સંખ્યામાં ગોંડલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના સમર્થકો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા જયારે ભરવાડ સમાજ દ્વારા ધોરાજી પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી હત્યારાઓને કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી. શુક્રવારે મૃતક યુવકની પ્રાર્થના સભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. તેમણે મૃતકનાં પરિવારજનો સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ તેમણે મૃતક કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કિશન ભરવાડની માત્ર 20 દિવસની દીકરીને હાથમાં લઈ હર્ષ સંઘવી ભાવુક થયા હતા. તેમણે પરિવારની મહિલાઓની પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે મહિલાઓને ખાતરી આપી હતી કે તેઓ તેમને ઝડપથી ન્યાય અપાવશે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ યુવાનોની અંદર કટ્ટરપંથીપણાનું ઝેર ભરનારા મૌલવીની અમદાવાદમાંથી ધરપકડ કરાઈ છે. એક રિવોલ્વર અને પાંચ કારતૂસ આ મૌલવીએ યુવાનોને આપ્યાં અને આ રિવોલ્વર વડે કિશનની હત્યા કરવામાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારી મુજબ, મૌલવીએ હત્યારાઓને આર્થિક મદદ કરી હોવાની સાથે અન્ય મદદ પણ કરી હતી. યુવકની હત્યા માટે પ્રી-પ્લાન હતી તેમજ હત્યારાને મદદ કરવા માટે આગોતરું આયોજન હતું અને મૃતક યુવકની ટિપ પણ આપી હતી. આરોપીની પૂછપરછમાં બે મૌલવીની વાત સામે આવી છે, પણ હજી ચોક્કસ નામ બહાર આવ્યા બાદ પોલીસ નામની જાહેરાત કરશે. હવે આ કેસમાં વધુ ચોંકાવનારી વિગત સામે આવે એવી શક્યતા છે.