ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 માર્ચ 2020 (08:14 IST)

કોરોના વાયરસને પગલે ર૧ દિવસના લોકડાઉન દરમિયાન આવા પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓ મળી રહેશે

વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ દેશ અને રાજ્યમાં વ્યાપક થતું અટકાવવા ર૧ દિવસના જાહેર થયેલા લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના નાગરિકોને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો બેરોકટોક અને નિયમીત મળતો રહે તેવી જડબેસલાક વ્યવસ્થા રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતીમાં આ હેતુસર મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ નિર્ણયોની ભુમિકા આપતાં જણાવ્યું કે રાજ્યમાં સૌ નાગરિકોને દૂધ, શાકભાજી, ફળફળાદિ, અનાજ, કરિયાણું સુચારૂ રીતે હાલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થઇ રહ્યું છે.
 
આ વ્યવસ્થા જળવાઇ રહે અને દૂધ વિતરણમાં કે શાકભાજી ફળફળાદિના પુરવઠામાં વિપરીત અસર ન પડે તે માટે રાજ્યના બનાસડેરી, સુમુલ, સાબર, પંચમહાલ અમૂલ ડેરી સહિત ૧૮ જેટલા મોટા દૂધ સંઘો પર દૂધની આવક અને વિતરણ વ્યવસ્થા પર દેખરેખ અને સંકલન માટે રાજ્ય સરકારના અધિકારીની નિયુકિત કરવામાં આવશે. તેમણે આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં ઉમેર્યુ કે, રાજ્યમાં દૈનિક ૩ કરોડ લીટર દૂધની આવક છે અને અંદાજે પપ લાખ લીટર દૂધના પાઉચ વિતરણ થાય છે. રાજ્યમાં આવેલા દુધ પાર્લર પરથી આ વિતરણ વ્યવસ્થા નિયમીત ચાલતી રહેશે અને આવનારા દિવસોમાં દૂધનો પુરવઠો પર્યાપ્ત માત્રામાં મળતો રહેશે.
 
અશ્વિનીકુમારે કહ્યું કે, ગુજરાતમાં દૈનિક પ૩ હજાર કવીન્ટલથી વધુ શાકભાજીની આવક રહે છે. તેમાં મુખ્યત્વે લીલા શાકભાજી, બટાકા, ડુંગળી અને ટામેટાનો જથ્થો હોય છે. આ શાકભાજી તેમજ ચૈત્રી નવરાત્રિના શરૂ થયેલા પર્વમાં ઉપવાસ વ્રત કરનારાઓ માટે ફળફળાદિ સરળતાએ મળે તે માટે રાજ્યની ૭પ જેટલી APMCમાં સહકાર વિભાગના સચિવની આગેવાનીમાં અધિકારીઓ દેખરેખ રાખશે. બટેટા અને ડુંગળી જેવા શાકભાજી માટે કોલ્ડ સ્ટોરેજ વ્યવસ્થાનું પણ યોગ્ય સંકલ્ન કરાશે.
 
મુખ્યમંત્રીના સચિવએ જણાવ્યું કે, ગુજરાતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા પડોશી રાજ્યોમાંથી પણ શાકભાજીનો જથ્થો આવે છે. આ જથ્થો પણ નિયમિત આવતો રહે, તે લઇને આવનારા વાહતુક વાહનોને કોઇ સમસ્યા ન નડે તે માટે મુખ્યમંત્રીએ રાજ્યના મુખ્ય સચિવને જે તે સંબંધિત રાજ્યના મુખ્ય સચિવ સાથે સંપર્કમાં રહીને વ્યવસ્થા જળવાય તેની સૂચનાઓ આપી છે. આવા શાકભાજી, ફળફળાદિ રાજ્યમાં નગરો-શહેરો-ગામોમાં લઇ જતા વાહનો-ફેરિયાઓને પણ કોઇ મુશ્કેલી ન પડે તે માટે રાજ્યના પોલીસ મહાનિદેશક સાથે સંકલન સાધવામાં આવશે તેની વિગતો અશ્વિનીકુમારે આપી હતી. મુખ્યમંત્રીએ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય ખેડૂતોના વ્યાપક હિતમાં કર્યો છે તેની વિગતો પણ અશ્વિનીકુમારે આપી હતી.
 
આ અંગે તેમણે કહ્યું કે રાજ્યના ધરતીપુત્રોએ પોતાના પાક માટે લીધેલું ટુંકી મુદતનું ધિરાણ તા.૩૧ માર્ચ-ર૦ર૦ સુધી પરત કરવાનું હોય છે. પરંતુ પ્રવર્તમાન કોરોના વાયરસની સ્થિતીમાં આ પરત ચુકવણી સમયમર્યાદા બે થી ત્રણ માસ લંબાવવા રાજ્ય સરકાર ભારત સરકારને ગુજરાતે રજુઆત અને વિનંતી કરી છે. તેમણે ઉમેર્યુ કે, આ વધારાના સમયગાળા માટેની વ્યાજ રાહત પણ રાજ્ય સરકાર ખેડૂતોને આપશે. મુખ્યમંત્રી પ્રવર્તમાન પરિસ્થિતીમાં સૌ કોઇ નાગરિકોને જીવન આવશ્યક પુરવઠામાં ઘઉનો લોટ, ચણાનો લોટ સહિત અન્ય લોટ-આટો પણ સરળતાએ મળે તે માટે રાજ્યના મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને વનબંધુ વિસ્તાર દાહોદના ફલોર મિલ્સ એસોસિયેશનો સાથે વિડીયો કોન્ફરન્સ કરવાના છે તેમ પણ મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું હતું.
 
અશ્વિનીકુમારે સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં કોઇ પણ સ્થળે જીવન આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા કે વિતરણની કમી ન સર્જાય તેવી સંપૂર્ણ વ્યવસ્થા મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં સુનિશ્ચિત કરવામાં આવી છે. આ વેળાએ અન્ન નાગરિક પુરવઠા સચિવ મોહમદ શાહિદ, સહકાર સચિવ મનિષ ભારદ્વાજ, સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર દેસાઇ, પુરવઠા નિગમના એમ.ડી. તુષાર ધોળકીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.