શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 માર્ચ 2023 (17:18 IST)

રાજ્યના 71 લાખથી વધુ લાભાર્થી કુટુંબને વિના મૂલ્યે અનાજ, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડના પડતર ​​​​​​​કેસો ઉકેલાયા

ગુજરાત વિધાનસભામાં હાલ ચાલી રહેલા પ્રશ્ન પ્રત્યુત્તરમાં ગુહમાં પૂછાયેલા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ સંદર્ભના પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, આ એક્ટ હેઠળ રાજ્યના 71 લાખથી વધુ લાભાર્થી કુટુંબને વિના મૂલ્યે અનાજ પૂરૂં પાડવામાં આવી રહ્યું છે. ત્યારે ઉર્જા મંત્રીએ રાજ્યના તમામ અનુસૂચિત જાતિના નાગરિકોને વીજ પુરવઠો પૂરો પાડવા સરકાર દ્વારા કરાયેલા આયોજનની માહિતી આપી હતી. જ્યારે ગૃહમાં કર્મચારી/અધિકારીના પેન્શનના પડતર કેસો સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાણામંત્રીએ માહિતી આપી હતી.

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં ગરીબ પરિવારનો એક પણ સભ્ય ભૂખ્યા પેટે ન સુવે તે માટે સરકાર વિશેષ ચિંતા કરી રહી છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ રાજ્યના 71 લાખથી વધુ લાભાર્થી કુટુંબને સમાવીને તેમને વિના મૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આણંદ શહેરમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ છેલ્લા એક વર્ષમાં સમાવવામાં આવેલી જન સંખ્યા અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા મંત્રીએ ઉમેર્યું હતું કે, તા.31 જાન્યુઆરી 2023ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં આણંદ શહેરમાં જ આ એક્ટ હેઠળ 904 લાભાર્થી કુટુંબોને સમાવવામાં આવ્યા છે. જેની જનસંખ્યા 5401 છે. આણંદ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં કુલ મળેલી અરજીઓ પૈકી 7301 અરજીઓ મંજૂર કરવામાં આવી છે.