ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (08:48 IST)

ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે પદ્ધતિ વિકસાવી,માત્ર 8થી 10 કલાકમાં જ ઓમિક્રોનનો રિપોર્ટ આવશે

કોરોના વાઇરસ(CoronaVirus) નું મ્યુટેશન ઓમિક્રોન (OMicron) છે કે નહીં તેની જાણ માત્ર 8થી 10 કલાકમાં થઈ શકે તેવી પૉલિમરેજ ચેઇન રિએક્શન (પીસીઆર) પદ્ધતિ ગુજરાત બાયોટૅક્નોલોજી રિસર્ચ સેન્ટર (જીબીઆરસી)એ વિકસાવી છે. જોકે સમગ્ર દેશમાં આ પદ્ધતિ વિકસાવવામાં જીબીઆરસી બીજા ક્રમે છે. ઓમિક્રોન મ્યુટેશન હોવાની ઝડપી જાણથી નિદાન અને સારવારની કામગીરી સરળ બને છે.કોરોના પૉઝિટિવ દર્દીમાં ઓમિક્રોન મ્યુટેશન છે કે નહીં તેના જીનોમ સિક્વન્સિંગ જાણવા માટે 7થી 10 દિવસ જેટલો સમય લાગતો હતો ત્યારે ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટૅક્નોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા માત્ર 8થી 10 કલાકમાં જ ઓમિક્રોનની તપાસ શઈ શકે તેવી પદ્ધતિ વિકસાવવામાં આવી છે. ઓમિક્રોન વેરિઅન્ટ વિશે જાણવા પીસીઆર પદ્ધતિ સૌપ્રથમ આઈસીએમઆર દ્વારા વિકસાવાઈ હતી. ત્યાર બાદ જીબીઆરસી સેન્ટરે વિકસાવતાં સમગ્ર દેશમાં બીજા ક્રમે હોવાનું જીબીઆરસીના જોઇન્ટ ડિરેક્ટર ડૉ. માધવી જોશીએ જણાવ્યું છે.જીબીઆરસીની ટીમે ત્રણેક દિવસ અગાઉ જ પીસીઆર પદ્ધતિ વિકસાવી છે. સેન્ટરના જોઇન્ટ ડિરેક્ટર ડૉ. માધવી જોશીએ પીસીઆર પદ્ધતિ અંગે જણાવ્યું કે, કોરોના પૉઝિટિવ દર્દીના સેમ્પલને સેન્ટીનલ લેબમાં લાવ્યા બાદ પીસીઆર મશીનથી આરએનએ સેલ તોડવામાં આવે છે. સેલ તોડ્યા બાદ તેના પીસીઆર મશીનમાં સી-ડીએનએ બનાવવામાં આવે છે. ત્યાર બાદ પૉઝિટિવ સેમ્પલમાં ઓમિક્રોન મ્યુટેશન છે કે નહીં તેની જાણ 8થી 10 કલાકમાં જ થાય છે અને પીસીઆર પદ્ધતિ આરટી-પીસીઆર પદ્ધતિથી પણ વધારે સરળ છે.જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કરાતાં કુલ ચાર કેસમાં ઓમિક્રોનનું મ્યુટેશન હોવાનું બહાર આવ્યું છે. તેમાં જામનગરના 3 અને સુરતનો 1 કેસ છે. જ્યારે વિદેશથી આવેલા 30 જેટલા મુસાફરોના કોરોના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યું છે.આફ્રિકાથી જામનગર આવેલી વ્યક્તિનો કોરોના પૉઝિટિવ રિપોર્ટ આવતાં જ તેનામાં ઓમિક્રોન મ્યુટેશન છે કે નહીં તેનું ટેસ્ટિંગ જીબીઆરસીની લેબમાં કરાયું હતું. લેબની ટીમે સતત ત્રણ દિવસ રાઉન્ડ ધ ક્લોક કામ કરીને ઓમિક્રોન મ્યુટેશન હોવાનું જાણ્યું હતું.ગાંધીનગર જિલ્લામાંથી અત્યાર સુધી 6 જેટલા કોરોના પૉઝિટિવ દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તેમાંથી એક પણ કેસમાં ઓમિક્રોનનું મ્યુટેશન જોવા મળ્યું નથી.કોરોના પોઝિટિવના કેસમાં જો વાઇરસનો સાઇકલ થ્રેસોલ્ડ (સીટી) 25થી વધુ હોય તો જ જીનોમ સિક્વન્સિંગ ક્લીયર થાય છે. જો કોરોના વાઇરસનો લોડ વધુ હોય તો તેનો સાઇકલ થ્રેસોલ્ડ (સીટી) ઓછો આવતો હોય છે. આથી આવા સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે રન થતા નથી તેમ જીબીઆરસીના જોઇન્ટ ડિરેક્ટરે જણાવ્યું છે.