શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 મે 2020 (11:42 IST)

અમદાવાદમાં કોરોનાને કંટ્રોલમાં કરવા દેશના નામાંકિત અને શ્રેષ્ઠ ત્રણ તબીબોને લેશે ગુજરાતની મુલાકાત

અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમણને ગંભીરતાથી લઇને મેડીસિટી કેમ્પસમાં આવેલી સિવીલ હોસ્પિટલમાં ૧૨૦૦ બેડની કોવિડ-19 હોસ્પિટલમાં હાલ જેઓ સારવાર લઇ રહ્યા છે તે બધા સહિત કોરોના સંક્રમિતોની વધુ સારી સારવાર થઇ શકે અને આ સંક્રમિતોની સારવાર કરી રહેલા તબીબો-મેડિકલ ટીમને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ભારતના ખ્યાતનામ – શ્રેષ્ઠ ત્રણ તબીબોને સ્પેશીયલ વિઝીટ માટે મોકલવા મુખ્યમંત્રી વિજય રૂપાણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહને પત્ર લખી અનુરોધ કર્યો છે. વિજય રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે આ સંદર્ભે ફોન દ્વારા વિગતે વાતચીત કરી હતી.
 
મુખ્યમંત્રીએ આ ત્રણ શ્રેષ્ઠ તબીબોમાં કોરોના અંગેની સારવાર સંશોધનની મહત્વપૂર્ણ સંસ્થા આઇ.સી.એમ.આર.માં જેમની અગ્રણી ભૂમિકા છે અને એઇમ્સ નવી દિલ્હીના જેઓ સિનિયર ડાયરેકટર છે તેવા ડૉ. રણદીપ ગુલેરિયા, દિલ્હીની એપોલો હોસ્પિટલના ડૉ. રાજેશ ચાવલા અને મુંબઇના લીડીંગ પલમેનોલોજીસ્ટ ડૉ. રોહિત પંડિતને અમદાવાદની આ ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ જે ખૂબ જ ટૂંકાગાળામાં કાર્યરત કરવામાં આવી છે તેમાં સેવારત મેડીકલ ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં મદદરૂપ થવા ખાસ વિઝીટ માટે મોકલવા ગૃહ મંત્રીને આ પત્રમાં વિનંતી કરી છે. 
 
આ શ્રેષ્ઠ તબીબોનું ઝિણવટભર્યુ માર્ગદર્શન કોવિડ-૧૯ હોસ્પિટલોના તબીબોને મળવાથી સંક્રમિતોની સારવાર વધુ સઘનતાથી થઇ શકશે અને દર્દીઓ ઝડપથી સાજા થઇ પોતાના ઘરે જઇ શકશે, રિકવરી રેટમાં વધારો થાય અને મૃત્યુ-દર પણ ઘટાડી શકાય તે દિશામાં રાજ્ય સરકાર તેમના માર્ગદર્શનમાં સંપૂર્ણ કટિબદ્ધતાથી આગળ વધશે. મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણ સામે આક્રમકતાથી રણનીતિ ઘડીને સર્વેલન્સ, સારવાર વ્યવસ્થાઓ સઘન બનાવવા અગ્રતા આપી છે.
 
આ સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ સિવીલ હોસ્પિટલ કેમ્પસની ૧ર૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં સારવાર-સુશ્રુષા સહિતની અન્ય વ્યવસ્થાઓની ચર્ચા-વિચારણા માટે તાકીદની ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજી હતી. તેમણે અમદાવાદની આ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર વધુ સારી, ઉત્તમ રીતે થાય અને તેમને આરોગ્ય સહિતની બધી સુવિધાઓ નિયમીત યોગ્ય રીતે મળે તેવી જરૂરી સૂચનાઓ આ બેઠકમાં આપી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ કોવિડ-19ના રાજ્યસ્તરીય સંકલન માટેના વિશેષ અધિકારી પંકજકુમાર સહિતના વરિષ્ઠ સચિવો આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જોડાયા હતા.
 
કોરોના સંક્રમિત દર્દીઓ ઝડપથી સાજા થઇને પોતાના ઘરે જાય, રિકવરી રેટમાં વધારો થાય તેમજ મૃત્યુ-દર ઘટાડી શકાય તે માટે અમદાવાદના ખ્યાતનામ ખાનગી તબીબોની સેવાઓ લઇને પણ સારવાર વ્યવસ્થા સુદ્રઢ બનાવવા જણાવ્યું હતું. રાજ્ય સરકારે આ માટે પ્રતિષ્ઠિત ખાનગી તબીબોને કરેલી વિનંતીને પગલે અમદાવાદ શહેરના પ્રતિષ્ઠિત તબીબો ડૉ. તુષાર પટેલ, ડૉ. જિગર મહેતા, ડૉ. ગોપાલ અને ડૉ. અમરિષ સિવિલ હોસ્પિટલ પહોચીને દર્દીઓની તપાસ-સારવારમાં સિવિલ હોસ્પિટલના તબીબો આજથી સહભાગી થયા છે. મુખ્યમંત્રીએ આ તબીબોની સેવાઓને બિરદાવતા જણાવ્યું કે અમદાવાદમાં કોરોના સંક્રમણની વ્યાપક પરિસ્થિતીમાં સંક્રમિતોની ઉત્તમ સારવાર સુવિધા અને ઝડપથી સાજા થવામાં આ ખાનગી તબીબોનું યોગદાન ઉલ્લેખનીય રહેશે. 
 
વિજય રૂપાણીની આ મહત્વપૂર્ણ તાકિદની બેઠકને પગલે  વરિષ્ઠ અધિકારીઓ સાથે અમદાવાદ સિવીલ હોસ્પિટલની મુલાકાત લઇને વ્યવસ્થાઓનું નિરીક્ષણ અને સમીક્ષા કર્યા હતા તથા અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને વધતું અટકાવવાની ભાવિ રણનીતિ અંગે શહેરના પ્રતિષ્ઠિત મેડિકલ એકસપર્ટ સાથે વિગતે પરામર્શ કર્યો હતો