ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 માર્ચ 2017 (15:45 IST)

ગુજરાતમાં ૧પપ૦ જેટલા દાવેદારોની કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાની ઈચ્છા, અમદાવાદની ૧૬ બેઠક માટે કોંગ્રેસમાં ૧૬પથી વધુ દાવેદાર

ઉત્તરપ્રદેશમાં ભાજપની ભવ્ય જીત બાદ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા હોઇ અમદાવાદ શહેરમાં વિધાનસભાની કુલ ૧૬ બેઠક છે. પ્રજા સમક્ષ ‘કોંગ્રેસ આવે છે’ તેવા સૂત્ર સાથે જનારા કોંગ્રેસ પક્ષ માટે આ ચૂંટણીજંગ જીતવો પડકારરૂપ બન્યો છે, જોકે કોંગ્રેસમાં ૧૬ બેઠક માટે ૧૬પથી વધુ મુરતિયાઓ હોઇ આ બાબત પણ પ્રદેશ હાઇકમાન્ડ માટે મોટી પડકારરૂપ બની છે.

આગામી સોમવારથી રાજ્યભરમાં શહેર-જિલ્લા કક્ષાએ જે તે બેઠકના સંભવિત ઉમેદવારની પેનલ બનાવવાની કામગીરી હાથ ધરાશે. આ માટે પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા જે તે શહેર-જિલ્લાના પ્રમુખને સૂચના અપાઇ રહી છે. બીજી તરફ અમદાવાદ શહેરની વિધાનસભાની કુલ ૧૬ બેઠક પૈકી કોંગ્રેસ પાસે દરિયાપુર અને દાણીલીમડા એમ ફક્ત બે બેઠક છે. આ બે બેઠક સહિત તમામ ૧૬ બેઠક માટે કોંગ્રેસના મુરતિયાઓની સંખ્યા ૧૬પથી વધુ છે, તેમાં પણ દરિયાપુર જેવી કોંગ્રેસની ‘સલામત’ ગણાતી બેઠક પર દાવેદારો થનગની ઊઠ્યા છે. 

દાણીલીમડાની બેઠક પરથી પણ ચૂંટણી લડવા કોંગ્રેસની છાવણીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે પાટીદાર સમાજનું વર્ચસ્વ ધરાવતી બાપુનગર, નિકોલ જેવી બેઠક પરથી પણ ચૂંટણીમાં ઝંપલાવવા દાવેદારો આતુર બન્યા છે. સમગ્ર રાજ્યમાં ૧પપ૦ જેટલા દાવેદારો કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવા ઇચ્છે છે, જ્યારે વિધાનસભાની કુલ બેઠક ૧૮ર હોઇ જ્યાં જ્યાં કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય છે તેવી બેઠકો પરથી પણ ઓછામાં ઓછા ૧પથી ર૦ દાવેદારો નોંધાયા છે, જેના કારણે ચાલુ ધારાસભ્યોમાં હાઇકમાન્ડ ચૂંટણી વખતે પોતાની ટિકિટ કાપશે તેવો ફફડાટ પણ ફેલાયો છે.