ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે: સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ
ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસું સત્ર આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ યોજવાનું સત્તાવાર એલાન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ દ્વારા ૧૫મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનું આહ્વાન કરવામાં આવતાં જ આ અંગેનું વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયું છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ સત્રને પગલે રાજકીય ગરમાવો વધી ગયો છે.
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સત્ર અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ધારાસભ્યો આગામી 20 ઓગસ્ટ સુધી પોતાના પ્રશ્નો ઓનલાઈન અથવા પ્રત્યક્ષ રીતે ગૃહ સમક્ષ રજૂ કરી શકશે. વધુમાં, સત્ર શરૂ થવાના બે દિવસ પહેલાં એટલે કે 6 સપ્ટેમ્બરે કામકાજ સલાહકાર સમિતિની મહત્ત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં ગૃહના ચોક્કસ એજન્ડા અને સમગ્ર કામગીરીનું માળખું નક્કી કરવામાં આવશે.
ત્રણ દિવસીય આ ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના સરકારી વિધેયકો (બિલ) અને કામકાજ ગૃહમાં રજૂ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. બીજી તરફ, વિપક્ષ પણ પ્રજાલક્ષી અને રાજ્યના વિવિધ પડતર મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાની પૂરી તૈયારી કરી રહ્યો હોવાથી ગૃહમાં તીખી બહેસ જોવા મળી શકે છે.
