ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 માર્ચ 2017 (15:58 IST)

આગામી 26મીએ અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદનું વિશાળ સંમેલન યોજાશે

એક તરફ સુપ્રીમ કોર્ટે આજે રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનો મામલો કોર્ટ બહાર ઉકેલવા સૂચન કર્યું છે ત્યારે બીજી તરફ વિહિપ રામ મંદિરનો મુદ્દો વધુ બુલંદ રીતે ઉઠાવવાની તૈયારી કરી રહ્યું છે.  અમદાવાદમાં 26મી માર્ચના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ હિન્દુ સંમેલન યોજાનાર છે. જેમાં રાજ્યભરમાં 50 હજાર જેટલા લોકો હાજર રહે તેવી તૈયારીઓ કરાઈ છે.  સંમેલનમાં હિન્દુ એકતા, રામ મંદિર માટે ખાસ ખરડો, હિન્દુઓને થતા અન્યાય સહિતના મુદ્દે ચર્ચા વિચારણ અને ભાષણો થશે. 


 સંમેલનને લઈને અમદાવાદમાં આજે વિહિપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં સંમેલન અંગે માહિતી આપતા દાવો કરાયો હતો કે, 26મીના સંમેલનમાં વીએચપીના આંતરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડીયા તેમજ 15 હજાર ગામડાના હિન્દુ સંગઠનના લોકો જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એકઠા થવાના છે. જેમાં હિન્દુઓને એક કરવા સાથે વધુમાં વધુ યુવાઓને વિએચપીની સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં જે રીતે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે તે રીતે ગુજરાતની રાજનિતીમાં આવનારા સમયમાં સાધુ-સંતો સક્રિય થાય તે રીતે વિહિપ કામગીરીમાં લાગી ગયું છે. 
 આગામી ચૂંટણીને વિહિપના આ સંમેલનને શક્તિપ્રદર્શનના રૂપે જ જોવાઈ રહ્યું છે. વિહિપના અગ્રણી રણછોડ ભરવાડ, કૌશિક મહેતાએ જણાવ્યું હતુ કે, હવે રામ મંદિર માટે ખાસ બીલ લાવવું જોઇએ. જેવી રીતે સોમનાથ મંદિર બન્યું તે રીતે જ રામ મંદિર માટે પણ ખાસ ખરડો લાવવો જોઇએ. જ્યાં રામ મંદિરનો રણકાર છે ત્યાં બાબરનો અવાજ પણ ન આવવો જોઇએ. જે રીતે ઉત્તર પ્રદેશમાં એક સાધુને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે તે રીતે ગુજરાતમાં પણ આવનારા સમયમાં હિન્દુઓનું વર્ચસ્વ વધવું જોઈએ.'