1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 6 ફેબ્રુઆરી 2021 (12:42 IST)

ગુજરાતના પ્રાણી સંગ્રહાલયોમાં 3 વર્ષમાં 895 પ્રાણીઓના મૃત્યુ

ગુજરાતના પ્રાણીસંગ્રહાલયોમાં છેલ્લા 3 વર્ષમાં 895 પ્રાણીઓના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં ૨૦૧૯-૨૦માં દેશના જે રાજ્યના પ્રાણીસંગ્રહાલયમાં સૌથી વધુ પ્રાણીઓએ જીવ ગુમાવ્યો હોય તેમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે.
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતના પ્રાણીસંગ્રહાલયોમાંથી વર્ષ ૨૦૧૭-૧૮માં ૩૬૬, ૨૦૧૮-૧૯માં ૩૬૨ જ્યારે ૨૦૧૯-૨૦માં ૧૬૭ પ્રાણીઓએ જીવ ગુમાવ્યો હતો. આમ, હકારાત્મક વાત એ છે કે, ગુજરાતના પ્રાણીસંગ્રહાલયોમાં થતાં પ્રાણીઓના મૃત્યુમાં છેલ્લા ૩ વર્ષથી સતત ઘટાડો થતો આવ્યો છે. ૨૦૧૯-૨૦માં દેશના જે રાજ્યના પ્રાણીસંગ્રહાલયમાં સૌથી વધુ પ્રાણીઓના મૃત્યુ થયા હોય તેમાં મહારાષ્ટ્ર (૩૩૯), કર્ણાટક (૩૧૫),પશ્ચિમ બંગાળ (૧૯૭), ઝારખંડ (૧૮૭), તામિલનાડુ (૧૭૦) અને ત્યારબાદ ગુજરાતનો સમાવેશ થાય છે.
 
સમગ્ર દેશના પ્રાણી સંગ્રહાલયોમાંથી છેલ્લા ૩ વર્ષમાં 9513 પ્રાણીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં 2017-18માં 3270, 2018-19માં 3209 અને 2019-20માં 2534 પ્રાણીઓના મૃત્યુનો સમાવેશ થાય છે. આમ, 2019-20 દરમિયાન દેશના પ્રાણી સંગ્રહાલયોમાં થતાં મૃત્યુમાં પણ ઘટાડો નોંધાયો છે.
 
જંગલ સફારી પાર્કમાં અત્યાર સુધી 3 જીરાફ, 4 ઈમ્પાલા, અને 3 ઝિબ્રાના મોત થયા
કેવડિયા ખાતે તૈયાર કરવામાં આવેલ જંગલ સફારી પાર્કમાં અત્યાર સુધી ત્રણ ઝીબ્રાનાં મોત થયાં છે. અહીં લવાયેલા 9માંથી હાલ 6 ઝીબ્રા સ્વચ્છ અને સુરક્ષિત છે.  એક વર્ષમાં જંગલ સફારી પાર્કમાં અત્યાર સુધી 3 જીરાફ, 4 ઈમ્પાલા, અને 3 ઝિબ્રાના મોત થયા છે. જોકે, આ તમામ વિદેશી પ્રાણીઓ અહીંના વાતાવણમાં સેટ થઇ ગયા છે, છતાં કોઈક કારણોસર મોત થઈ રહ્યા છે. જે ચિંતા સાથે તપાસનો વિષય છે.