ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (14:10 IST)

ભારે વરસાદના કારણે કંપનીની દીવાલ ઢળી પડતાં 5 મજૂરોના મોત, 4 એક જ પરિવારના

સુરંગીમાં એક નવી કંપનીનું કંસ્ટ્રકશન કામ ચાલી રહ્યું હતું. જ્યાં સુરક્ષા દિવાલ પાસે જ ઝૂંપડીઓમાં મજૂર રહે છે. ગત મોડી રાત્રે વરસાદના કારણે દીવાલ ઝૂંપડપટ્ટી પર ધરાશાઇ થઇ ગઇ જેમાં ઝૂંપડપટ્ટી સાથે દબાઇ જતાં 5 મજૂરોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે જ્યારે બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઘટના બાદ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
 
મળતી માહિતી અનુસાર સુરંગી ગામમાં નવનિર્મિત મહેશ્વરી પોલિકેમ કંપનીની પ્રોટેક્શન વોલ પાસે ઝૂંપડપટ્ટી બનાવી મજૂરો રહેતા હતા. ગત મોડી રાત્રે દાદરા નગર હવેલી તથા આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેના પાણીના વહેણના કારણે સુરક્ષા દિવાલ ધરાશાયી થઇ ગઇ હતી. દિવાલ પાસે ઝૂંપડપટ્ટીમાં રાત્રે મજૂરો સૂતા હતા ત્યારે આ અકસ્માતમાં પાંચ મજૂરોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા જ્યારે અન્ય બેને ઇજા પહોંચી છે.  
 
ઘટનાની જાણ થતાં ખાનવેલ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી તેમણે દીવાલ નીચે ઝૂંપડપટ્ટીમાં દબાયેલા 5 મજૂરોના મૃતદેહ બહાર કાઢ્યા તથા ગંભીને તાત્કાકિલ સિલવાસ સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. આ ઘટના બાદ ખાંવેલ પોલીસમથકમાં મહેશ્વરી પોલીમર્સ નામની કંપનીના વિરૂદ્ધ બેદરકારી અને હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે વિશાલ રઘુભાઇની ફરિયાદના આધારે કંપની મેનેજમેન્ટ વિરૂદ્ધ આઇપીસી કલમ 304, 338, 269, 270 અને 114 હેઠળ કેસની તપાસ હાથ ધરી છે.