રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 જૂન 2022 (14:30 IST)

અમદાવાદમાં ચેનલ બંધ થઈ જતાં પતિએ દીકરાને માર્યો, દીકરાને છોડાવવા પત્નીએ પતિને છાતીમાં છરી મારી દીધી

crime scene
અમદાવાદમાં પત્નીએ પતિની હત્યા કર્યાનો મામલો સામે આવ્યો છે. શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા પરિવારમાં પિતાએ ચેનલ બંધ થઈ જતાં દીકરાને માર મારવા માંડ્યો હતો. જેથી દીકરાની માતા દીકરાને છોડાવવા માટે વચ્ચે પડી હતી. આ દરમિયાન માતાના હાથમાં છરી આવી જતાં તેણે પોતાના પતિની છાતીમાં છરી ભોંકી દીધી હતી. આ દરમિયાન તેનો પતિ જમીન પર ઢળી પડ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી પત્નીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં સ્થિત જય અદિતિ સોસાયટીમાં વિજયસિંહ યાદવ તેમના પત્ની દીપમાલા અને 1 દીકરો તથા 2 દીકરી એમ 3 બાળકો સાથે રહેતા હતા. વિજયસિંહ યાદવ AMTS બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા.15 દિવસથી તેમની નોકરી છૂટી ગઈ હતી. સોમવારે વિજયસિંહ યાદવ ટીવી જોતા હતા ત્યારે ચેનલ બંધ થઈ ગઈ હતી. આ દરમિયાન તેઓ પત્ની અને બાળકો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે જ ચેનલ બંધ કરી છે. આટલું કહીને તેમના 10 વર્ષના દીકરાને માર મારવા લાગ્યા હતાં.પિતા જ્યારે દીકરાને માર મારતાં હતાં ત્યારે દીકરાને છોડાવવા પત્ની વચ્ચે પડી હતી. પત્નીના હાથમાં નજીકમાં પડેલ છરી આવતા પત્નીએ છરી પતિના છાતી પર મારી હતી. છરી વાગતા જ વિજયસિંહ જમીન પર ઢળી પડ્યા હતા. ત્યાર બાદ વિજયસિંહના ભાઈ પણ ત્યાં આવી ગયા હતા. વિજયસિંહને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને હત્યા મામલે ગુનો નોંધીને આરોપી પત્ની દીપમાલાની ધરપકડ કરી હતી.ચાંદલોડિયામાં પત્નીના હાથે પતિની થયેલી આ હત્યા મામલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનનના PI એન.આર.વાઘેલાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં ઘરની તકરારમાં જ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. છતાં હત્યા પાછળ અન્ય કોઈ કારણ છે કે નહીં તે દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ. અત્યારે હત્યા મામલે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.