શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (14:02 IST)

ભાજપના નેતાએ બિસ્માર રસ્તાને લઇને કર્યું ટ્વિટ, ઔડાના અધિકારીઓની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ

સરકાર દ્વારા નવા મોટર વ્હીકલ હેઠળ વાહન ચાલકો પાસેથી દંડ પેટે મસમોટી રકમ વસૂલી પ્રજાના પૈસા ખંખરી રહી છે. ત્યારે તેના વિરોધમાં પ્રજામાં રોષ ભભૂકેલો જોવા મળી રહ્યો છે રોજ અવનવા વીડિયો અને પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. ત્યારે સરકાર પ્રજાના ટેક્સ અને દંડના નામે પૈસા તો વસૂલી રહી છે પરંતુ સેવાઓના નામે શૂન્ય કામગીરી જોવા મળી રહ્યો છે. તેનું તાજુ ઉદાહરણ ચોમાસા દરમિયાન રસ્તાઓની ખખડધજ હાલત જોઇને લગાવી શકાય છે. ભાજપના સિનિયર આગેવાન અને પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાએ ટ્વિટ કરીને બિસ્માર રસ્તાઓની પોલ ખોલી છે.
 
અમદાવાદના બિસ્માર રસ્તાઓને લઈને બીજેપીના વરિષ્ઠ નેતા તેમજ ગુજરાત પ્રદેશ બીજેપીના ઉપ-પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાએ સવાલો ઉઠાવ્યા છે. અમદાવાદના બોપલ બ્રિજથી શાંતિપુરા ચોકડી સુધી રસ્તાની બિસ્માર હાલત પર સવાલ ઉઠાવતા બીજેપી નેતાએ ઔડાના અધિકારીઓને સવાલ પૂછ્યો હતો કે શું તેઓ આવા રસ્તા પર ચાલશે? આઈ.કે.જાડેજાએ આ અંગે ટ્વિટ કરીને ઔડાના અધિકારીઓની કામગીરી સામે આંગળી ચિંધી છે. 
 
બીજેપીના વરિષ્ઠ નેતાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, "અમદાવાદના બોપલ બ્રિજથી શાંતિપુરા ચોકડી સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, ઔડાના અધિકારીઓ આ રોડ પર ચાલશે? શું ઓવરબ્રિજનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરોની કોઈ જ જવાબદારી ઉપસ્થિત નથી થતી?"
 
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં બોપલ ચોકડીથી લઈને શાંતિપુરા ચોકડી વચ્ચે બે જંક્શન પર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. ઓવરબ્રિજને કામને લઈને અનેક મહિનાઓથી રસ્તો બંધ કરીને ટ્રાફિકને સર્વિસ રોડ પર ડાઇવર્ટ કરવામાં આવ્યો છે. એક સાથે બે જંક્શન પર રસ્તો બંધ કરી દેવામાં આવતા સવારે અને સાંજે લોકોએ ખૂબ હાલાકીની સામનો કરવો પડી રહ્યો છે.

જો કે આઈકે જાડેજાના ટ્વિટ પછી તરત જ રસ્તાની કામગીરી શરૂ થતા તેમણે  પ્રશંસા કરતુ પણ ટ્વિટ કર્યુ