શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 જૂન 2021 (11:54 IST)

ત્રીજી લહેરના સામના માટે વરિષ્ઠ સચિવોને જવાબદારીઓ સોંપાઈ, દર્દીઓ માટેની વ્યવસ્થાઓ ત્રણ મહિનામાં નિશ્ચિત કરવા સૂચના

કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે આગોતરા આયોજનથી રાજ્યમાં આ લહેર દરમિયાન ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય, આરોગ્ય વ્યવસ્થા સુદૃઢ બને અને રાજ્યની હોસ્પિટલોમાં બેડ વગેરે વ્યવસ્થાઓનું રીયલ ટાઇમ મોનીર્ટીંગ થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ  માટે રાજ્યના વરિષ્ઠ સચિવોને જવાબદારીઓ સોંપવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ વરિષ્ઠ સચિવો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક અને કોર કમિટીની બેઠક એક સાથે યોજીને આ બધી જ વ્યવસ્થાઓ આગામી ત્રણ મહિનામાં સંપૂર્ણપણે કાર્યરત થાય તે માટેની 
ચર્ચા-વિચારણા અને પરામર્શ કરીને સુચનાઓ આપી હતી.

મુખ્યમંત્રી રૂપાણીએ જે જે સચિવોને સંભવિત થર્ડ વેવ ના સામના માટેના આગોતરા આયોજનની જવાબદારી સોંપી છે તેમને આવતીકાલ ગુરૂવારથી જ તેમને સોંપાયેલી કામગીરી યુદ્ધના ધોરણે ત્વરાએ ઉપાડી લેવા સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું કે, આપણે પ્રાર્થના કરીએ કે, થર્ડ વેવ આવે જ નહીં, પરંતુ જો આવે તો મૃત્યુ આંક વધે નહીં, સંક્રમિતોને ત્વરિત સારવાર મળે, હોસ્પિટલમાં બેડ, દવા, ઓક્સિજન સહિતની પુરતી વ્યવસ્થાઓ મળે અને તેઓ જલ્દી સાજા થઇને પરત જાય તેવા ત્રેવડા વ્યૂહ થી સજ્જ થઇને કાર્ય યોજનાઓ ટાઇમબાઉન્ડ પુરી કરવાની છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલોમાં ખાલી બેડની માહિતી લોકોને સરળતાથી મળી રહે તે માટે અદ્યતન ટેકનોલોજી સાથેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર રહેશે અને જીલ્લાઓમાં ઉભા કરી તેનું સીધું જોડાણ સ્ટેટ લેવલે સી.એમ. ડેશબોર્ડ સાથે કરી રીયલ ટાઇમ મોનીટરીંગ થાય તેવી વ્યવસ્થાઓ પણ ત્વરાએ પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. રૂપાણીએ ખાસ કરીને હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર, જરૂરી દવાઓ, ટેસ્ટ કીટ અને ઇન્જેકશનોનો જથ્થો પણ આગોતરા આયોજન સાથે મેળવી લેવા સંબંધિત સચિવોને સૂચન કર્યું હતું.  રૂપાણીએ કોરોનાથી બચવાના આગોતરા શસ્ત્ર એવા વેક્સિનેશનનો વ્યાપ નગરો, શહેરો અને ગ્રામ્ય સ્તરે ઝૂંબેશરૂપે ખાસ મુવમેન્ટથી ચલાવવા તાકીદ કરી હતી અને પોલીંગ બુથની પેટર્ન પર વેકસીનેશન સેન્ટર શરૂ કરીને વધુને વધુ લોકોને વેકસીનેશન અંતર્ગત આવરી લેવા એન.જી.ઓ., સેવા સંગઠનો, પદાધિકારીઓ વગેરેનો સહયોગ લેવાનું પણ સૂચન કર્યું હતું