રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (09:10 IST)

અમદાવાદમાં 14 વર્ષની સગીરાએ મોબાઈલના વળગણથી સ્કૂલે જવાનું બંધ કર્યું, ટીચર ઘરે ભણાવવા આવે તો તેમની સાથે ખરાબ વર્તન કરતી

ઓનલાઈન અભ્યાસ વખતે પણ મોબાઈલમાં વીડિયો સોંગ જોતી
માતા ઠપકો આપે તો તેની સાથે પણ ખરાબ વર્તન કરતી
હેલ્પલાઈનની ટીમે કાઉન્સેલિંગ કરીને મામલો થાળે પાડ્યો
 
કોરોના કાળમાં શિક્ષણ ઓનલાઈન હોવાના કારણે તમામ બાળકો મોબાઈલ કે આઈપેડ સહિતના ઉપકરણોની મદદથી ભણી રહ્યાં છે. હવે સ્કૂલો શરૂ થઈ ગઈ છે ત્યારે કેટલાક બાળકો હજી પણ ઓનલાઈન ભણી રહ્યાં છે. ઓનલાઈન શિક્ષણના કારણે મોટાભાગના બાળકોમાં મોબાઈલનું વળગણ થઈ ગયું છે. ત્યારે અમદાવાદમાં બાળકોને મોબાઈલ આપતા માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો  છે. આ કિસ્સામાં 14 વર્ષિય સગીરાને મોબાઈલનું વળગણ લાગતાં ભણવાનું જ છોડી દીધું છે. 
 
અભ્યાસની જગ્યાએ વીડિયો જોતી અને ગીતો સાંભળતી
જ્યારે પણ ઓનલાઈન ક્લાસ હોય ત્યારે આ સગીરા પોતાના મોબાઈલમાં અભ્યાસની જગ્યાએ વીડિયો જોતી અને ગીતો સાંભળતી હતી. માતા પિતા આ માટે કંઈપણ બોલે તો તેમની સાથે ખરાબ વર્તન કરતી હતી. જ્યારે ટીચર સગીરાના અભ્યાસ માટે ઘરે આવે તો તેમની સાથે પણ ખરાબ વર્તન કરતી હતી. છેવટે સગીરાની માતાએ અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ માંગતાં અભયમની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કરી મામલો થાળે પાડ્યો હતો. 
 
મોબાઈલને કારણે અભ્યાસમાં ધ્યાન આપી શકતી નહોંતી
સગીરાની માતાએ અભયમની ટીમને ફોન કરીને જાણ કરી હતી કે, મારી દીકરી ફોનમાં વધારે સમય પસાર કરે છે અને અભ્યાસમાં ધ્યાન આપતી નથી. આ ફોન કોલ્સને લઈને અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે 14 વર્ષની દીકરીને ઓનલાઈન ક્લાસ હોવાથી તેને ફોન આપવામાં આવ્યો હતો. તેને ફોનનું એટલું વળગણ વળગ્યું હતું કે, ઓનલાઈન ક્લાસમાં પણ વીડિયો સોંગ સાંભળતી અને આખો દિવસ ફોન પર વીડિયો સોંગ જોયા કરતી. જેથી તે અભ્યાસમાં ધ્યાન આપી શકતી નહોંતી.
 
ઘરે ભણાવવા આવતા ટીચર સાથે ખરાબ વર્તન કરતી
માતા પિતા ઠપકો આપે તો તેમની સાથે ખરાબ વર્તન કરતી. સ્કૂલ શરૂ થતાં તે ત્યાં જતી નથી અને ટીચર ઘરે આવે તો તેમની સાથે પણ ખરાબ વર્તન કરતી હતી. અભયમની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કરી મોબાઈલનું વળગણ દુર કરીને સ્કૂલે જવા માટેની સમજ આપી હતી. જેથી તેને પોતાની ભૂલ સમતા ફરીવાર સ્કૂલે જવાની તથા અભ્યાસમાં ધ્યાન આપવાની બાંહેધરી આપી હતી. અભયમની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કરીને મામલો થાળે પાડ્યો હતો.