1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 16 ફેબ્રુઆરી 2022 (20:19 IST)

ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ, કોંગ્રેસમાંથી રાજીનામું બાદ ભાજપમાં જોડાશે જયરાજ સિંહ: સૂત્રો

હજુ રાજ્યમાં ચૂંટણીને ઘણીવાર છે પરંતુ પક્ષોએ હાલથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીનો માહોલ શરૂ થઇ ગયો છે. ચૂંટણી પહેલાં નેતાઓ દ્વારા પક્ષ બદલવાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાવવા જઇ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભાજપમાં જોડાઇ શકે છે. 
 
ચૂંટણી પહેલાં મહેસાણામાં આજે 200 થી પણ વધારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ ભગવો ધારણ કર્યો હતો. મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજુભા દરબાર, બેચરાજી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ વાઘુભા જાડેજા, બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રણુભા સહિત 205 થી વધારે લોકોએ આજે ભાજપમાં જોડાયા હતા. જે લઇને કોંગ્રેસના નેતા જયરાજ સિંહ પરમારે ટ્વીટ કર્યું હતું. તેમના એક ટ્વીટથી રાજકારણ ગરમાઇ ગયું છે. બીજી તરફ જયરાજ સિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો છે. 

તેમણે ગુસ્સો ઠાલવતાં જણાવ્યું હતું કે બહુચરાજીમાં થઈ રહ્યું છે તેની મહિનાથી જાણ કરી હતી પણ કોંગ્રેસમાં તો કેવું ચાલે છે ? ગમે તેટલી તાકાતથી લડીએ, બધા એના એ જ નેતા. હારેલા નેતાઓ જ બધા નિર્ણય કરે છે. તાકાતવાળાની ઉપેક્ષા થાય છે. મારાથી આગળ જતો રહેશે એવા માનસિક ભયથી અમે કંટાળ્યા છીએ. હવે પાર્ટી છોડીશું.
 
જયરાજસિંહ પરમારે ભાજપ પ્રમુખ પાટીલ સાથે પણ મુલાકાત કરી હોવાની ચર્ચા છે અને ટુંક સમયમાં ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની વાત બહાર આવી છે. એવી પણ માહિતી મળી છે કે તેઓ આવતી કાલે કાર્યકરો જોગ પત્ર લખશે અને ત્યારબાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. 
 
જયરાજ સિંહ પરમાર આવતી કાલે કાર્યકરોને સંબોધતો પત્ર લખશે. કાર્યકર જોગ પત્ર લખ્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ શકે છે.