શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 એપ્રિલ 2021 (16:00 IST)

હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધોઃ ફક્ત અમદાવાદની વાત કરવાનું બંધ કરો. બધું પેપર પર છે, ગ્રાઉન્ડ પર નહીં

હાઈકોર્ટની ગત ઓનલાઈન સુનાવણીમાં સરકારે કોરોનાની સ્થિતિ, રેમડેસિવિર તેમજ ઓક્સિજનની અછતને પહોંચી વળવામાં સરકાર સક્ષમ છે તેવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે સિવિલ સહિતની હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા તેમજ ઓક્સિજની અછતને લઈને સરકાર પાસે જવાબ માંગ્યા હતા. આજે ફરી હાઈકોર્ટની ઓનલાઈન સુનાવણી શરૂ થઈ છે.

સરકારને 4 મે સુધી તમામ વ્યવસ્થા સાથે જવાબ રજૂ કરવા માટે કોર્ટએ જણાવ્યું જેમાં કમલ ત્રિવેદીએ કહ્યું કે, અમે રેમેડિસિવિર, ઓક્સિજન અને દર્દીઓને ફસ્ટ કમ્ફસ્ટ નહીં પરંતુ તેમની પરિસ્થિતિ આધારે હોસ્પિટલમાં એડમિટ કરવાં માટે સરકારને કહીશું. સાથે હોસ્પિટલની બહાર બેડની અવેબલિટી માટે બોર્ડ લગાવવા માટેની પણ રજુઆત કરીશુ. સાથે અમદાવાદની બહાર ન લોકોને સારવાર મળે તે માટે પણ ધ્યાન દોરીશું. તો બીજીતરફ હાઇકોર્ટેએ કહ્યું કે, તમે વ્યવસ્થા ઉભી કરો પછી એવું ના કહેતા કે પરિસ્થિતિ ખરાબ છે અમે પ્રયત્ન કર્યા છે. જરૂર પડે ત્યાં છૂટછાટ ઓછી કરો પણ દર્દી સારવાર વગર ન રહેવો જોઈએ.

હાઈકોર્ટે રેમડેસિવિર ઈન્જેક્શનની સર્જાયેલી તંગી અંગે કહ્યું કે, દર્દીઓને રેમડેસિવિર ઈન્જેકશન પણ ડોઝ વાઈઝ આપો. જો કોઈને 2 આપો તો બાકીના 4 આપવા આપણી ફરજ છે, કારણકે 6 ઈન્જેકશનનો ડોઝ છે. હવે તમે 2 આપીને કહો કે નથી એમ ન ચાલે. હોય તો પુરા આપો. પૂરતા ડોઝ ન હોય તો આપો જ નહીં. દર્દીના સગા બિચારા ફરીફરીને થકી જાય છે. કોર્ટે ઓબ્ઝર્વેશન કર્યું કે સંક્રમણ ફેલાવવામાં આપણે જવાબદાર છીએ. સરકાર નહીં. જનતાએ સેલ્ફ રિસ્ટ્રિક્શન ફોલો કરવા જોઈએ. એડવોકેટ શાલીન મહેતાને પણ કહ્યું કે લોકો કેમ ગંભીરતા સમજે નહીં. છેલ્લે કોર્ટે એટલે સુધી કહ્યું કે કામ વગર બહાર ન નીકળવું જોઈએ. એક વીક કમાશો નહી તો કોઈ ફરક ન પડે લોકોએ પોતાની જવાબદારી સમજવી પડશે. સરકાર જ બધું ન કરે. તાત્કાલિક સારવારના દર્દીને 108એ પ્રાથમિકતા આપવા મુદ્દે રાજ્ય સરકારે સોગંદનામામાં કોઈ રજૂઆત ના કરતા કોર્ટે ટકોર કરી કે, હજી પણ હોસ્પિટલ બહાર 40 એમ્બ્યુલન્સ ઉભી રહે છે. દર્દીઓને અટેન્ડ કરવા માટે કોઈને ગોઠવો તો ખબર પડે કે દર્દીને કેવી જરૂરીયાત છે. તમે માત્ર લાઈનો જ કરાવો છો. કોઈને ઓક્સિજનની જરૂર ન હોય તો તેને કોવિડ કેર સેન્ટરમાં મોકલો કોઈને ઓક્સિજનની જરૂર હોય તો એને પહેલા O2 આપો અને ICUની જરૂરિયાત વાળા દર્દીને તાત્કાલિક દાખલ કરો. પરંતુ કંઈક કરો. આમ લાઈનોમાં બધી કેટેગરીના દર્દીને ઉભા રાખશો તો કેમ મેળ આવશે.

હાઈકોર્ટ રાજ્યમાં પ્રાઇવેટ હોસ્પિટલ ક્રિટિકલ દર્દીઓને ના પાડે છે કે અમે એડમિટ નહીં કરીએ. પરંતુ એને પ્રાઇમરી ટ્રીટમેન્ટ તો આપો અથવા એને ઈન્જેકશન કે દવા આપો. હોસ્પિટલ દર્દીઓને ના કેમ કહી દે છે. દરેક પ્રાઈવેટ હોસ્પિટલની બહાર બોર્ડ લગાવો કે આટલા બેડ છે આટલા ભરાયા છે અને બાકીના ખાલી છે. જેથી દર્દી રજળી ન પડે બેડ ન હોય તો એ બીજે ઝડપથી જતો રહે. સરકાર આ બાબતે પગલાં લે એ જરૂરી છે. અમે આજની પરિસ્થિતિ અને સરકારની કામગીરીથી ખુશ નથી. હાઇકોર્ટે સરકારનો ઉધડો લીધો કે હોસ્પિટલ બહાર એબ્યુલન્સમાં કેમ સારવાર આપવી પડે છે? કેમ હોસ્પિટલના ટ્રાયજમાં દર્દી નથી પહોંચતું? સરકાર શું વ્યવસ્થા કરી રહી છે? 14 દિવસથી હોસ્પિટલ બહાર લાઈનો લાગી છે અત્યારે પણ આ સ્થિતિ છે લોકોને કેમ રોડ ઉપર મરવા છોડી દીધા છે?