શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 એપ્રિલ 2021 (14:14 IST)

અમદાવાદમાં પિતાએ પૈસા બાબતે ઠપકો આપ્યો તો દીકરાએ શર્ટની બાંયથી ગળે ટૂંપો આપીને હત્યા કરી નાખી

શહેરના મેઘાણીનગરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ કિસ્સામાં સંબંધોની જ હત્યા થતા પોલીસે તપાસ શરૂ કરી છે. એક વૃદ્ધ પિતાએ પુત્રને મજૂરીના રૂપિયા ઘરમાં કેમ નથી આપતો તેમ કહી ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખી અડધી રાત્રે પુત્રએ શર્ટની બાંયથી ટૂંપો આપી પિતાની હત્યા કરી નાખી હતી. પરિવારજનો રાત્રે સુઈ ગયા ત્યારે પુત્રએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. બાદમાં તેના પિતાનું મૃત્યુ થયું કે નહીં તે પણ તપાસ્યું અને પિતાના હાથ પગ ન હલતા પુત્ર કામ થઈ ગયું હોવાનું માની સુઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા મૃતકના અન્ય પુત્રએ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ કરી આરોપીને નજરકેદ કર્યો છે. મેઘાણીનગર પોલીસને કંટ્રોલ રૂમ તરફથી વર્ધિ મળી કે તેમના વિસ્તારમાં હત્યા થઈ છે, જેમાં ફોન કરનારના નાના ભાઈએ પિતાને ટૂંપો આપી મોત નિપજાવ્યું છે. જેથી એ.એસ.આઈ દિગ્વિજયસિંહ શાંતિ નગરના છાપરા પર પહોંચ્યા હતા. ત્યાં પહોંચતા અજય પટણી કે, જેણે પોલીસને ફોન કર્યો હતો તે મળી આવ્યો હતો.

પોલીસે તપાસ કરતા અજય તેના પિતા લક્ષ્મણ ભાઈ તથા માતા સાથે રહે છે. તેઓ આઠ ભાઈ બહેન છે.ગત 25મીએ રાત્રે અજયના પિતાએ તેના ભાઈ અનિલને કહ્યું કે, તું કેમ મજૂરીના પૈસા ઘરમાં આપતો નથી. બસ આ જ વાતને લઈને પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે થોડા સમય બાદ આ બોલાચાલી પુરી થઈ અને પરિવારજનો સુઈ ગયા હતા. એજ દિવસે રાત્રે એટલે કે 26મીએ રાત્રે અજયની માતા બીજા રૂમમાં સુતા તેના પિતાને અડધી રાત્રે પાણી આપવા ગયા હતાં. તેઓને પાણી આપવા જગાડતા તેઓ હાથ પગ હલાવતા ન હતા અને જાગ્યા ન હતા. જેથી તેની માતાએ બુમાબુમ કરતા અજય સહિતના લોકો જાગી ગયા અને પોલીસને જાણ કરાઈ હતી. પોલીસને હત્યાનો મેસેજ પણ અપાયો હતો. બાદમાં લાશનું પોસ્ટમોર્ટમ કરાવતા મૃતકનું મોત ગળે ટૂંપો આપવાથી થયું હોવાનુ સામે આવ્યું હતું.

પોલીસે પરિવારજનોની પૂછપરછ કરતા મૃતકના અનિલ પટણીએ ગુનો કબુલયો હતો. તેને પોલીસને જણાવ્યું કે, મજૂરીના પૈસા ઘરમાં આપવા બાબતે તેના પિતાએ બોલાચાલી કરી હતી અને પરિવારના સભ્યોએ આ મામલો શાંત પાડ્યો હતો. પણ તેના પિતાએ સુઈ ગયા બાદ માથામાં તેને મારતા તેને લોહી નીકળતા મલમ પટ્ટી કરાવી ઘરે આવ્યા હતા. બાદમાં પરિવારજનો સુઈ જતા આ બાબતની અદાવત રાખી અનિલ રાત્રે ઉઠી પિતા જે ખાટલામાં સુતા હતા ત્યાં તેમના માથા પાસે ઉભા રહી આવેશમાં આવી શર્ટની બાંયથી ગળામાં તેની તરફ પ્રેશર કરી થોડી વાર પકડી રાખ્યો હતો. થોડી બાર બાદ તેના પિતાએ હલન ચલન કરતા તેણે ખભા પર હાથ મૂકી પિતા જીવે છે કે મૃત્યુ પામ્યા તે જાણ્યું હતું. પણ કોઈ હલન ચલન ન થતા તે પાછો જઈને સુઈ ગયો હતો. બાદમાં પરિવારને જાણ થતા આ મામલો સામે આવ્યો હતો. મેઘાણીનગર પોલીસે આરોપી અનિલ સામે હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત કરી નજરકેદ રાખી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.