શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 એપ્રિલ 2021 (13:10 IST)

મૂળ જમ્મુ કાશ્મીરના અને વર્ષોથી અમદાવાદમાં રહેતા કોરોનાગ્રસ્ત પરિવારના વડીલના તંત્રએ કર્યા અંતિમ સંસ્કાર

સંકટના સમયમાં સરકાર જ નાગરિકની સ્વજન બની રહે છે, તેનું ઉદાહરણ પુરુ પાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ શહેરના ઘાટલોડિયામાં રહેતા પ્રફૂલ્લ ધર(૫૧ વર્ષ) ના પિતા– જગમોહન ધર(૮૨ વર્ષ)નું કોરોનાથી અવસાન થયું હતું. પ્રફૂલ્લભાઈના માતા બિમાર છે. પ્રફૂલ્લભાઈ અને તેમના પત્નિ કોરોનાગ્રસ્ત. ત્યારે મૃતકની અંતિમક્રિયા કેવી રીતે કરવી એ પ્રશ્ન વિકટ બન્યો. 
 
આ માહિતી અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે સુધી પહોંચી. જિલ્લા કલેક્ટરએ અમદાવાદ પશ્ચિમના ડેપ્યુટી કલેક્ટર જે.બી.દેસાઈ અને ઘાટલોડિયા મામલતદાર શકરાભાઈ રબારીને મૃતકની અંતિમક્રિયા માટે જરુરી તજવીજ હાથ ધરવાની સૂચના આપી. 
 
જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ તરત જ કામગીરી આરંભી હતી. વહીવટીતંત્રએ મૃતકની અંતિમવિધિ કોરોના પ્રોટોકોલ પ્રમાણે થાય તે માટે તજવીજ હાથ ધરી. શબવાહિનીની વ્યવસ્થા કરી અન સદગતની અંતિમક્રિયા થલતેજ ખાતેના સ્મશાનગૃહમાં કરવામાં આવી હતી. 
 
પિતાની અંતિમવિધિમાં જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે અને જિલ્લા વહીવટીતંત્રની હૂંફ અનુભવનાર પ્રફૂલ્લભાઈ ધર આભાર માનતા કહે છે, “ હું જિલ્લા કલેક્ટર અને અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રનો આભારી છું. મારી આશા- અપેક્ષા પર જિલ્લા વહીવટીતંત્ર ખરુ ઉતર્યું છે. ” 
 
આમ, આપત્તિના કાળમાં અનેક નકારાત્મકતા સમાચારો વચ્ચે પણ હકારાત્મતાની ઉર્જા પ્રાપ્ત થાય તેવા સમાચાર આપણને મળતા રહે છે, જેથી આપણી માનવતા પ્રત્યેની શ્રદ્ધા દ્રઢ બને છે.