1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 29 એપ્રિલ 2024 (13:21 IST)

સુરત રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનના દરવાજા લોક, 1 કલાકથી વધુ સમય ટ્રેન અટવાઈ

Lock doors of Vande Bharat train at Surat railway station
Lock doors of Vande Bharat train at Surat railway station

અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા જ ના ખૂલતા મુસાફરો પરેશાન બન્યા હતા. સુરત રેલવે સ્ટેશન પર દરવાજા ન ખૂલતા ટ્રેન એક કલાકથી વધુ સમય સુધી અટવાઈ હતી. સુરત ખાતે સવારે 8.20 વાગ્યે વંદે ભારત ટ્રેન પહોંચે છે. પરંતુ ટેક્નિકલ કારણોસર ટ્રેનના દરવાજા ન ખૂલતા મુસાફરો સ્ટેશન પર ઊતરવા માટે પરેશાન બન્યા હતા.

ટ્રેનમાં લાઈટ, એસી બંધ કરવા છતાં પણ દરવાજા ખૂલ્યા નહોતા. મેન્યુઅલી દરવાજા ખોલવા માટે રેલવે સ્ટાફ મજબૂર બન્યો હતો. ટ્રેનના સી-14 કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો. વંદે ભારત ટ્રેનમાં સુરત રેલવે સ્ટેશન પર ઉતરનારા તમામ મુસાફર સી-14 કોચના દરવાજામાંથી બહાર નીકળ્યા હતા. અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સુરત સ્ટેશન ઉપર સવારે પહોંચી હતી. વંદે ભારત ટ્રેન અંદાજે 8.20 વાગ્યે સુરત રેલવે સ્ટેશન ઉપર પહોંચતા મુસાફરો પોતાના કોચમાંથી બહાર જવા માટે ઊભા થયા હતા. પરંતુ ટ્રેનના કોચના દરવાજા ખુલ્યા નહોતા. જેના કારણે મુસાફરો અંદર જ બેસી રહ્યા હતા. થોડીવાર માટે તો કોચમાં બેઠેલા મુસાફરો કંઈ સમજી શક્યા નહોતા. ત્યારબાદ રેલવે સ્ટાફ વંદે ભારત ટ્રેન પાસે પહોંચી ગયો હતો. વંદે ભારત ટ્રેનના ટેક્નિકલ કારણોસર દરવાજા ખૂલ્યા નહોતા. આથી રેલવે વિભાગના એન્જિનિયર્સની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને તેમના દ્વારા ભારે જહેમત ઉઠાવ્યા બાદ ટ્રેનના દરવાજા મેન્યુઅલી ખોલવામાં સફળતા મળી હતી.27 દિવસ પહેલાં જામનગર રેલવે સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન સાથે ભેંસ અથડાતા અકસ્માતના પગલે ટ્રેન રોકાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં અને સહેજમાં મોટી દુર્ઘટના ટળતાં રેલવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. થોડી ક્ષણો માટે ટ્રેન રોકાયા બાદ પુન: ઓખા તરફ રવાના થઈ હતી. જામનગર-અમદાવાદ વચ્ચે દોડતી ખાસ એક્સપ્રેસ ટ્રેનને 20 દિવસ પહેલાં ઓખા સુધી લંબાવવામાં આવી છે.