ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 એપ્રિલ 2018 (13:11 IST)

અંગત કારણોસર આપ્યું હતું રાજીનામું, પરેશ ગજેરા મારા ભાઈ સમાન : નરેશ પટેલ

ખોડલધામના ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામાંથી પટેલ સમાજ અને રાજકારણ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો હતો. આખરે ટ્રસ્ટીમંડળની અને વડીલોની સમજાવટ પછી તેમણે સમાજનું હિત ધ્યાનમાં રાખીને પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું હતું. આમ, ખોડલધામના ખટરાગમાં ઘીના ઠામમાં ઘી પડી ગયું છે.  આજે નરેશ પટેલ એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે  આ રાજીનામું મારું અંગત નિર્ણય હતો અને એ માટે કોઈ જવાબદાર નહોતું. મેં શિક્ષણ અને કૃષિના ક્ષેત્રમાં વિશેષ કામગીરી કરવા માટે અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું. રાજીનામા પછી ગેરસમજને કારણે વિવાદ ઉભો થયો હતો, પરેશ પરના આક્ષેપ પાયાવિહીન હતા.

પરેશ કોઈ ભુલ કરે તો હું તેને ઠપકો પણ આપું છું. પરેશ મારા ભાઈ સમાન છે. મેં અગાઉ પણ ટ્રસ્ટીઓ સમક્ષ રાજીનામું આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હું સુત્રોચ્ચાર કરીને પોસ્ટર ફાડવાની ઘટનાની નિંદા કરું છું. હું ધ્ંધામાં વ્યસ્ત હોવાના કારણે આ મામલે સ્પષ્ટતા કરવામાં સમય લાગ્યો. મેં સમાજના વડીલોના આગ્રહને માન આપીને રાજીનામું પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે. રાજકોટમાં નરેશ પટેલના રાજીનામાના વિરોધમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે પાટીદાર વિદ્યાર્થીઓએ ઉપવાસ કરીને વિરોધ નોંધાવવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓના આવા આયોજન બાદ નરેશ પટેલે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. નરેશ પટેલે વિદ્યાર્થીઓને શાંતિ તેમજ સંયમ જાળવી રાખવા અપીલ કરી હતી.ચર્ચા હતી કે નરેશ પટેલે એક વ્યક્તિના વધુ પડતા વર્ચસ્વથી કંટાળીને આ નિર્ણય લીધો હતો અને તેઓ ટ્રસ્ટના આંતરીક રાજકારણથી વ્યથિત હતા તે પણ એક પ્રશ્ન છે. ખોડલધામ ટ્રસ્ટના વડા નરેશ પટેલના રાજીનામાના ચર્ચાસ્પદ પ્રકરણમાં હાર્દિક પટેલે ટ્રવીટ કરીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે નરેશ પટેલ સાથે દગો કરવામાં આવ્યો છે. હાર્દિકે ટ્વીટ કર્યુ છે કે ખોડલધામ- કાગવડ એ પાટીદાર સમાજની ભક્તિમાં એકતાનુ સ્થાન છે. અમુક ટ્રસ્ટીઓના ભગવાકરણના કારણે નરેશભાઇ પટેલે રાજીનામુ આપ્યુ છે. નરેશભાઇ મૌન છે પણ હકીકત આ છે. ખાનગી સૂત્રો અને સમાજના મુખ્ય આગેવાનો આ સત્યના સૂર સાથે સહમત પણ હશે. નરેશભાઇ સાથે દગો કરવામાં આવ્યો છે.