રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 15 મે 2018 (11:40 IST)

Surat News - સુરતમાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની બેઠકમાં ખેડૂતો રોષે ભરાયાં

બૂલેટટ્રેન યોજના માટે જમીન સંપાદનના મુદ્દે વાટાઘાટો કરવા કલેક્ટરે બોલાવ્યા પછી સભા શરૂ થતા પહેલા જ પોલીસે દાદાગીરી કરીને ખેડૂત અગ્રણીઓને ઉચકી જતા ભારે રોષ ફેલાયો હતો. ખેડૂતોનો મૂડ જોતા તાબડતોબ કલેક્ટરે પોલીસને ફોન કરીને છોડાવવા પડ્યા હતા. ગાંધી સ્મૃતિ ભવન ખાતે બોલાવેલી સભામાં પહેલા 500 જેટલા આવ્યા હતા પરંતુ પછી માંડ 50 જ બચ્યા હતા. આમ, હવે જમીન સંપાદન કરવું અઘરૂં પડે તેમ દેખાઇ રહ્યું છે. ખેડૂતોએ જંત્રીના ભાવ, મિલકત, જમીન અને નોકરી અંગેના તમામ પ્રશ્નો હતા. તેમાં કાયદાની મર્યાદામાં રહી તમામ મદદ કરવાની તેમણે ખાતરી આપી હતી.સોમવારે કલેક્ટર ડો.ધવલ પટેલની અધ્યક્ષતામાં ગાંધીસ્મૃતિ ભવનમાં બપોરે 3 કલાકે બૂલેટટ્રેન પ્રોજેક્ટ અંગે જમીન સંપાદનના પરામર્શ માટે બેઠક બોલાવાઇ હતી. આ બેઠકમાં કલેક્ટરના આગમન પહેલા જ અંદરથી જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયકને પોલીસ અધિકારીએ બહાર બોલાવી અટક કરી લેતા ખેડૂતોને આશ્ચર્ય થયું હતું. તેમણે ખેડૂત સમાજના પ્રમુખ જયેશ દેલાડને ભવનમાં અંદર જાણ કરતા તેઓ પણ બહાર આવ્યા તો, તેમની સાથે બીજા સાત-આઠ ખેડૂતોની પણ અટક કરી પોલીસ સ્ટેશન મોકલી દેવાયા હતા.

આ દરમિયાન ગાંધીસ્મૃતિ ભવનના ગેટ પર ઉપસ્થિત કામરેજ પ્રાંત ઓફિસર કિરીટ વાઘેલાએ પરિસ્થિતિ પારખી પોલીસ અધિકારીઓને અટક કરાયેલા ખેડૂતોને છોડવા જણાવ્યું હતું. તેની સાથે તેમણે કલેક્ટરને ફોન કરતા તેમણે પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી તેમને છોડી મુક્યા હતા. જો કે ત્યાં સુધીમાં લગભગ એક કલાકનો સમય નીકળી ગયો હતો. તેમજ કાર્યક્રમ શરૂ થયા બાદ જયેશ પટેલ અને દર્શન નાયકને છોડાતા મોટાભાગના ખેડૂતોએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. આ દરમિયાન સાચી સ્થિતિની માહિતી મેળવવા માટે કલેક્ટર ડો.ધવલ પટેલે દર્શન નાયકને બોલાવી તમામ મુદ્દાઓ પર સાંભળ્યા હતા. ત્યારબાદ દર્શન નાયક બેઠકનો બહિષ્કાર કરી નીકળી ગયા હતા.  કઠોરના રાકેશ પટેલે જણાવ્યું હતું કે, મારી જમીનનો બ્લોક નં.278 છે. તેમાં ઘર અને જમીન બંને જાય છે. ઘરનું 2500 ચોરસફૂટનું બાંધકામ છે. પ્રોજેક્ટવાળા માર્કિંગ કરી ગયા ત્યારે ખબર પડી. પેપરમાં આવ્યું ત્યારે ખબર પડી કે આજે મિટીંગ છે. સરકારનો જંત્રીનો ભાવ 1200 રૂપિયા છે. બજારનો છેલ્લો ભાવ 3 કરોડ છે તો સરકાર શું આપશે વળતરની ચોખવટ કરો.