1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 4 ડિસેમ્બર 2017 (16:21 IST)

ઓખી’ વાવાઝોડું- ૬૦ થી ૭૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની તથા ભારે વરસાદની સંભાવના

સુરત પાસેના દરિયા કાંઠેથી અત્યારે દક્ષિણ પશ્ચિમ દિશામાં ૮૭૦ કિલોમીટર દૂર રહેલું ‘ઓખી’ વાવાઝોડું મંગળવારે લગભગ મધ્યરાત્રીએ દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાને સ્પર્શે એવી હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્ય સરકારનું વહીવટીતંત્ર છેલ્લા ચોવીસ કલાકથી એલર્ટ થઇ ગયું છે. રાજ્યના મુખ્યસચિવ  ડૉ. જે.એન.સિંહે સોમવારે રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓના બનેલા આપત્તિ વ્યવસ્થાપન ગ્રુપની તાકીદની બેઠક બોલાવીને વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરા પગલાં લેવા અને અન્ય કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સુસજ્જ રહેવાની તાકીદ કરી હતી. દરિયા કાંઠાના જિલ્લાઓના વહીવટી તંત્રને ચોવીસ કલાકના કંટ્રોલ રૂમ શરૂ કરવા અને ખડેપગે રહેવાના આદેશો આપી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર ‘ઓખી’ જ્યારે ગુજરાતના દરિયાકાંઠાનો સ્પર્શ કરશે ત્યારે તેની તીવ્રતા ઘણી ઓછી થઇ ગઇ હશે, પરન્તુ ડીપ ડીપ્રેશન કે ડીપ્રેશનની સ્થિતિ સર્જાશે. તે વખતે પવનની ગતિ ૬૦ થી ૭૦ કિલોમીટર પ્રતિકલાકની રહેવાની સંભાવના છે. 

રાજ્ય સરકારના મહેસુલ વિભાગના અગ્રસચિવ પંકજ કુમારે નાગરિકોને સજાગ અને જાગૃત રહેવાની અપીલ કરી છે. પંકજકુમારે હવામાન વિભાગ તરફથી મળેલી માહિતીના અનુસંધાનને જણાવ્યું હતું કે, મંગળવારે મધ્યરાત્રીએ ‘ઓખી’ વાવાઝોડું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને સ્પર્શે એવું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી, ડાંગ, ભરૂચ અને તાપી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ગિર-સોમનાથ, ભાવનગર ઉપરાંત દીવ અને દમણ ઉપરાંત દાદરાનગર હવેલી વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ તમામ જિલ્લાઓમાં વહીવટીતંત્રને ખડેપગે રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. આ જિલ્લાઓમાં તમામ તાલુકા મથકોએ પણ ૨૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવાની તાકીદ કરવામાં આવી છે. માછીમારોને દરિયામાં ન જવા અને ગયેલા માછીમારોને તાત્કાલિક પરત આવી જવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓ અને પોર્ટ ઓફિસરોને હેડ કવાર્ટર પર રહેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. ભારે પવન અને વરસાદને કારણે ઉભી થનારી કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારનું વહીવટી તંત્ર સુસજ્જ છે. ્રી પંકજ કુમારે જણાવ્યું હતું કે, આગોતરા પગલાં તરીકે એન.ડી.આર.એફ.ની બે ટુકડીઓને સુરત અને નવસારી મોકલી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચી જવા માટે રાજકોટથી એન.ડી.આર.એફની બે ટીમો મોકલી દેવામાં આવી છે. જિલ્લા કલેકટરશ્રીઓ અને મહાનગરપાલિકા વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને જરૂર પડે તો રાહત અને બચાવ કામગીરી માટે તમામ સાધનો સાથે સુસજ્જ અને સજાગ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. આવતીકાલ; તા.૫મી ડિસેમ્બરની રાતથી તા.૬ઠ્ઠી ડિસેમ્બરની સાંજ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના લોકોને સજાગ રહેવા અને દરિયાની નજીક નહીં જવાની વિનંતી કરવામાં આવી છે.