શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 ઑગસ્ટ 2021 (09:29 IST)

દૂધ-શાકભાજી બાદ કઠોળના ભાવમાં 10થી 20 રૂપિયાનો વધારો, કઠોળમાં 10થી 20 રૂપિયા વધ્યા

દરેક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેમાંય હવે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ, લીલાં શાકભાજી અને દૂધમાં ભાવ વધારા બાદ હવે બાકી હતું એ કઠોળના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે, જેના કારણે લોકોના બજેટ ખોરવાઈ જાય તેવી સ્થિતિ સર્જઈ છે. મોંઘવારીમાં ટૂંકા પગારમાં જીવન નિર્વાહ કરનારા સેંકડો પરિવારો ભાવ વધારાની હૈયાહોળી સર્જાઇ છે. દરેક કઠોળના ભાવમાં કિલોએ રૂ. 5થી 10નો વધારો થયો છે, જેને લઈને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. તાજેતરમાં કોરોનાને કારણે લોકોએ ધંધા રોજગાર ગુમાવ્યા છે. તેની કળ હજુ વળી નથી ત્યાં ભાવવધારો લોકોને દઝાડી રહ્યો છે. હવે કઠોળના ભાવમાં વધારો થતાં અનેક પરિવારોને કઠોળમાં કાપ મૂકવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. તમામ વસ્તુઓના ભાવ વધારા થવાની સાથે હવે કઠોળના ભાવ વધતાં લોકોને શું ખાવું એ સ્થિતિ ઊભી થઈ છે. અગાઉ લીલા શાકભાજીના ભાવ વધતા અનેક પરિવારોએ આહારમાં કઠોળને સ્થાન આપ્યું હતું, પરંતુ હવે કઠોળનો ભાવ વધતાં લોકોને તેમાં કાપ મૂકવાની નોબત આવી છે. વેપારીઓનું કહેવું છે કે, ખેડૂતો કઠોળનું ઉત્પાદન છોડીને એક સિઝનમાં ૩ વખત રોકડિયો પાક લેવાનું પસંદ કરે છે. તેના કારણે પાક ઓછો થઈ રહ્યો છે અને તેની અસર માર્કેટમાં પડી રહી છે. પાક ઓછો થવાના કારણે માર્કેટમાં કઠોળની આવક ઓછી થતા ભાવમાં વધારો નોંધાયો છે. હાલ ભાવમાં વધારો થયો છે પરંતુ દિવાળી સમયે નવો પાક આવવાનું શરૂ થતાં ભાવમાં ઘટાડો થશે તેવું માનવામાં આવે છે.