1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 ડિસેમ્બર 2021 (10:38 IST)

રાહતના સમાચાર: જામનગરમાં ઓમિક્રોનથી સંક્રમિત 3 દર્દીઓ થયા સાજા, હોસ્પિટલમાંથી મળી રજા

ઓમિક્રોન વેરિઅન્ટના ભયના ઓથાર વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોના કેસ વધવાની સાથે ઓમિક્રોનના પાંચ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું, જોકે જામનગરમાં પોઝિટિવ આવેલા દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ થોડો રાહતનો શ્વાસ લીધો છે.
 
જામનગરમાં નોંધાયેલા ગુજરાતના પ્રથમ ઓમિક્રોન કેસના દર્દીનો સતત બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા બાદ આખરે ૧૭ દિવસે સ્પિટલમાંથી રજા મળી છે. જયારે અન્ય બે દર્દીના રિપોર્ટ પણ ૧૧ દિવસની સારવાર બાદ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામા આવી છે. દક્ષિણ આફ્રીકામાંથી શરુ થયેલો કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ચેપ ફેલાવી શકે છે.
 
આ ક્ષમતાના કારણે આજે તે આફ્રિકાથી યુરોપ, અમેરિકા અને એશિયા સહિત વિશ્વભરમાં ફેલાઈ ગયો છે. મહત્વનું છે કે દરમ્યાનમાં દક્ષિણ આફ્રીકાના પડોશી ઝિમ્બાબ્વેથી જામનગરમાં મોરકંડા રોડ પર સનસીટી વિસ્તારમાં સસરાના ઘરે આવેલા ૭૨ વર્ષના વૃધ્ધને શરદી-તાવની તકલીફ થતાં તેમને ખાનગી ડોકટર પાસે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં.
 
ડોકટરે તેમની ટ્રાવેલ હીસ્ટ્રી જાણીને તેમનો કોવીડ ટેસ્ટ કરાવતાં દર્દીનો કોવીડ ટેસ્ટ તા.૩૦ના રોજ પોઝિટીવ આવ્યો હતો. જે બાબતની તંત્રને જાણ કરવામાં આવતાં હાઈરીસ્ક દેશોમાંથી આવતાં લોકો અને નોંધાયેલા કોવીડ દર્દી માટેની ગાઈડ લાઈન મુજબ દર્દીને સીધા ડેન્ટલ હોસ્પિટલમાં ઉભી કરાયેલી ૪૦૦ બેડની કોવીડ ફેસેલીટી ખાતે આઈસોલેટ કરવામાં આવ્યા હતા.
 
જે બાદ તા.૧ ડીસેમબરે તેના સેમ્પલને પુના ખાતેની લેબોરેટરીમાં જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા હતાં. જ્યાંથી તા.૪ ડીસેમ્બરના રોજ તેને ઓમિક્રોનનો ચેપ હોવાનો રીપોર્ટ આવતાં ખળભળાટ મચી ગયો હતો. જે બાદ તેમના સંપર્કમાં આવેલા તમામનું ટ્રેસિંગ શરું કરવામાં આવ્યું હતું.
 
રાજ્યમાં ઓમિક્રોનનો પ્રથમ દર્દી સામે આવ્યાના બાદ તેમના પત્ની અને સાળાનો પણ કોવીડ રીપોર્ટ તા.૫ના રોજ પોઝિટીવ આવતાં તે બન્નેના સેમ્પલો પણ રાજ્યની લેબોરેટરીમાં ગાંધીનગર ખાતે મોકલાયા હતાં. જ્યાં તા.૧૦ના રોજ આ બન્ને દર્દીઓને પણ ઓમિક્રોનના વેરીઅન્ટનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું હતું.